![]()
Faridabad Factory Fire : હરિયાણાના ફરીદાબાદમાં આજે (16 ફેબ્રુઆરી) એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના સેક્ટર-24માં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા બાદ પ્રચંડ વિસ્ફોટ થયો છે. ઘટનામાં અંદાજે 35 જેટલા લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ પોલીસકર્મીઓ અને બે ફાયર ફાઈટરનો પણ સમાવેશ થાય છે, જેઓ રાહત અને બચાવ કામગીરી દરમિયાન આગની ઝપેટમાં આવી ગયા હતા.
આગ બાદ ભયાનક વિસ્ફોટ થયો
મળતી માહિતી મુજબ, સેક્ટર-24 સ્થિત કાલકાજી લ્યુબ્રિકન્ટ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાના થોડા જ સમયમાં ફેક્ટરી પરિસરમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની ઝપેટમાં ફેક્ટરીની આસપાસથી પસાર થતા રાહદારીઓ પણ આવી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ
ફેક્ટરીની બહાર 10 વાહનો બળીને ખાખ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટરીની બહાર ઉભેલા 8થી 10 વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ઘણાને સિવિલ હોસ્પિટલ અને કેટલાકને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તબીબો તમામ ઈજાગ્રસ્તોની હાલત પર સતત દેખરેખ રાખી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગ લાગવાનું ચોક્કસ કારણ અને વિસ્ફોટ કેવી રીતે થયો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : ‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
















