![]()
Jamnagar Fraud Case : જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે એક શેર બ્રોકિંગનું કામ કરતી કંપનીના ડાયરેક્ટર સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા, અને અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડો.કિશોરભાઈ સાજનમલ મહેશ્વરીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 41,86,556 રૂપિયાની છેતરપિંડી કરવા અંગે આરકેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ તેમજ એન્ટોની સિક્વેટા, પ્રેમ એન્ટોની સિક્વેટા, યસ રમેશભાઈ બ્રહ્મભટ્ટ, અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તબીબે આરકેડીઆ શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉપરોક્ત પાંચેય આરોપીઓ સાથે શેર બજારમાં રોકાણ કરવાના બહાને નાણાકીય વ્યવહાર શરૂ કર્યા હતા, અને 2009 ની સાલમાં પોતાનું ડિમેન્ટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ જુદા જુદા શેરમાં રોકાણ કર્યું હતું.
અલગ અલગ કંપનીના શેરની ખરીદી કર્યા બાદ ઉપરોક્ત પાંચેય આરોપીઓએ તબિબના શેર તેઓના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરી લઈ ઉચાપત કરી હતી. જે અંગેનો મામલો સામે આવ્યા બાદ આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને તબિબ દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છે. જે મામલે પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
















