![]()
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા-બાપુએ આજે સમગ્ર સભામાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, પોતે ભવિષ્યમાં આવનારી કોઈપણ ચૂંટણી લડશે નહીં. પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે કાર્ય કરવાની જાહેરાત કરતા સમગ્ર સભામાં ઉપસ્થિત તમામ સભ્યોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સમગ્ર સભા ચાલુ હોય ત્યારે કોઈપણ સભાસદે આવી સત્તાવાર જાહેરાત કરી હોય કે, હું ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી નહીં લડવું તેવો આ પ્રથમ કિસ્સો છે. આ ઉપરાંત તેમણે ભાજપના કાર્યકર્તા તરીકે કાર્ય કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર સભામાં આવા બનેલા સૌપ્રથમ હકીકતથી આશ્ચર્ય ફેલાયું હતું.
આ અંગે પાલિકા સભામાં ઉપસ્થિત પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, પરાક્રમસિંહ જાડેજાની જાહેરાતનો પાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો છે. પરાક્રમસિંહ જાડેજા કોર્પોરેટર બન્યા ત્યારથી જ તેમણે નવા સભાગૃહની માંગણી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને નવું સભાસદ ગૃહ બનાવવું જોઈએ એવી રજૂઆત કરી હતી. જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા મહત્વના નિર્ણય લઈ શકાય નહીં. પરંતુ પરાક્રમસિંહ જાડેજાએ નિર્ણય લીધો છે કે, હવે ચૂંટણી નહીં લડું પરંતુ ભાજપના તમામ કાર્યકરો સાથે રહીશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
જ્યારે પાલિકા વિરોધ પક્ષના નેતા અને સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું કે, પરાક્રમસિંહ જાડેજા જાહેર જીવનમાં પડતા અગાઉથી જ હું તેમને ઓળખું છું. તેઓ હંમેશા પ્રજાના કાર્યો કરવા માટે સદાય તત્પર રહે છે. આવી જ રીતે પ્રથમ નાગરિક પાલિકાના મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, પરાક્રમસિંહ જાડેજાને સૌ કોઈ ‘ઓળખે છે. ‘બાપુ’ એટલે સામાજિક રીતે ‘પિતા’ને બાપુ કહેવામાં આવે છે. આમ પરાક્રમસિંહ જાડેજા-બાપુને પિતા સમાન ગણવામાં આવે છે અને તેઓ પિતા સમાન હોવાથી અમારા જેવા સામાજિક જીવનમાં પડેલા અમારા જેવા લોકોને માટે સદાય માર્ગદર્શક બની રહ્યા છે.















