અમદાવાદ,બુધવાર
શહેરના મેમનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને ન્યુ રાણીપમાં ફ્લેટ વેચાણે આપવાનું કહીને ફ્લેટની લોનના બાકી નાણાં ચુકવવા માટે ૧૯.૫૦ લાખ એડવાન્સમાં લઇને ગઠિયાએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.
મેમનગરમાં આવેલી જોયતારામ પાર્ક સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય શીરીષભાઇ ઓઝા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને નવુ મકાન લેવાનું હોવાથી પરિચીત દ્વારા તેમનો સંપર્ક મનન પંચાલ (રહે.આનંદ ટેનામેન્ટ, જીએસટી ક્રોસીંગ, ન્યુ રાણીપ) સાથે થયો હતો. મનન પંચાલે તેમને જણાવ્યું હતું કે ન્યુ રાણીપમાં અર્જુન વિલા ફ્લેટમાં તેમને ફ્લેટ વેચવાનો છે. જે શીરીષભાઇને પસંદ આવતા ૪૨ લાખમાં ફ્લેટની વેચાણ કિંમત નક્કી કરી હતી.
આ માટે નોટરાઇઝ એફિડેવીટ કરવામાં આવ્યું હતું. પરંતુ, મનને તેમને કહ્યુ હતું કે તેમના ફ્લેટ પર હાલ ૧૯ લાખની લોન બાકી છે. જે ભરી આપવા માટે શીરીષભાઇને કહેવામાં આવતા તેમણે ૧૯ લાખ આપ્યા હતા. તેમજ બીજા ૫૦ હજાર પણ આપ્યા હતા.
પરંતુ, મનને આ નાણાંથી લોન ચુકવવાને બદલે નાણાં બારોબાર અંગત વપરાશમાં લઇ લીધા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મનન પંચાલે અન્ય લોકોને પણ મકાન અપાવવાનું કહીને છેતરપિંડી આચરી હતી.


















