![]()
– શહેરના નારીમાં ઇ-બસ સેવા શરૂ કરવા માંગણી ઉઠી
– સિહોર, ઘોઘા સુધી ઇ-બસ શરૂ કરાઈ પરંતુ નારી, આનંદનગર, ખેડૂતવાસ સહિતના વિસ્તારના લોકોને અન્યાય
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ ઘણાં વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરની બહારના વિસ્તારમાં પણ ઇ-બસ સેવા શરૂ કરાઈ છે પરંતુ શહેરના જ કેટલાક વિસ્તારોમાં ઇ-બસ જતી નથી તેથી લોકોને અન્યાય થયો હોવાનુ જાણવા મળેલ છે. નારીમાં ઇ-બસ સેવા શરૂ કરવા માંગણી ઉઠી છે.
શહેરમાં ગત શનિવારથી પ૦ ઇ-બસ શરૂ થઈ ગઈ છે અને ઘણાં મુસાફરોને લાભ મળી રહ્યો છે. ઇ-બસ શહેરની બહારના વિસ્તાર જેવા કે, સિહોર, ઘોઘા અને ભંડારીયા સુધી દોડાવવામાં આવી રહી છે પરંતુ શહેરના નારી, આનંદનગર, ખેડૂતવાસ, કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારમાં ઇ-બસ જતી નથી તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં ૧૦ માસથી સિટી બસ સેવા બંધ હતી અને હવે ઇ-બસ શરૂ થઈ છે ત્યારે તમામ વિસ્તારમાં ઇ-બસ સેવાનો લાભ મળવો જોઈએ તેવી લોકોની માંગણી છે. હાલ કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવાનો લાભ નહીં મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નારીમાં ૧પ હજારની વસતી છે અને ભુતકાળમાં ૪ સિટી બસ ચાલતી હતી પરંતુ હાલ નારીમાં ઇ-બસ આવતી નથી ત્યારે લોકોમાં કચવાટ ફેલાયો છે. નારીમાં ઇ-બસ નહીં આવતા વિદ્યાર્થી, રત્ન કલાકારો, નોકરીયાત સહિતને મૂશ્કેલી પડી રહી છે ત્યારે તત્કાલ ઇ-બસ સેવા શરૂ કરવા કોંગ્રેસના જે.બી.ગોહિલે માંગણી કરી છે અને આ બાબતે કમિશનરને રજૂઆત પણ કરી છે. ઇ-બસ સેવા શરૂ નહીં કરાય તો આંદોલન કરવાની ચિમકી આપી છે.
એક રૂટમાં જુદા જુદા ભાડા લેવાતા પ્રશ્નો ઉઠયાં
ભાવનગર શહેરમાં ઇ-બસ સેવા ચાર દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી છે, જેમાં એક મુસાફર પાસેથી ગત તા. ૧૭ ફેબુ્રઆરીએ સંસ્કાર મંડળથી ગંગાજળિયા તળાવના રૂા. પ લેવામાં આવ્યા હતા અને ગત તા. ૧૮ ફેબુ્રઆરીએ આ રૂટમાં રૂા. ૧૦ લેવામાં આવ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. એક રૂટમાં જુદા જુદા ભાડા લેવામાં આવતા લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ બાબતે મહાપાલિકાએ તપાસ કરી પ્રશ્ન હલ કરવો જરૂરી છે.
















