India AI Impact Summit 2026: દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટની થીમ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય'(સૌનું કલ્યાણ, સૌની પ્રસન્નતા) રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવાનો અને માનવતાના ઉત્થાન માટે AIનો ઉપયોગ કરવાનો છે.
વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ
ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીની સાથે ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું. આ સમિટમાં 500થી વધુ AI લીડર્સ, 100થી વધારે સરકારી પ્રતિનિધિઓ, 20થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો, અંદાજે 60 મંત્રીઓ, 150થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકો સહિત સેંકડો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે ભાગ લીધો હતો.
નવી ટૅક્નોલૉજી માટે વ્યાપક દૃષ્ટિકોણની જરૂરિયાત
પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આજે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન સુધીની સફર જેટલી ઝડપી છે, એટલી જ ઊંડી અને વ્યાપક પણ છે. તેથી આપણે આપણું વિઝન પણ મોટું રાખવું પડશે અને જવાબદારી પણ એટલી જ મોટી નિભાવવી પડશે. સાથે જ આપણે એ વાતની પણ ચિંતા કરવાની છે કે આવનારી પેઢીઓના હાથમાં આપણે AIનું કેવું સ્વરૂપ સોંપીને જઈશું.’
ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં AI ના ઉપયોગ પર ભાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે અસલી સવાલ એ નથી કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી શકે છે, સવાલ એ છે કે વર્તમાનમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે શું કરીએ છીએ. માનવતા સામે આવા પ્રશ્નો પહેલા પણ આવ્યા છે. જેનું સૌથી મોટું ઉદાહરણ ન્યુક્લિયર પાવર છે. આપણે તેનું વિનાશક સ્વરૂપ પણ જોયું છે અને સકારાત્મક યોગદાન પણ જોયું છે. AI પણ એવી જ એક પરિવર્તનકારી શક્તિ (ટ્રાન્સફોર્મેટિવ પાવર) છે.’
ભારત દુનિયાના સૌથી મોટા ‘ટેક ટેલેન્ટ પૂલ’ તરીકે ઉભર્યું
AI સમિટમાં પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ભારત દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી અને ‘ટેક ટેલેન્ટ’ ધરાવતો દેશ છે, જે નવી ટૅક્નોલૉજી બનાવવામાં અને અપનાવવામાં અગ્રેસર છે. આ સમિટ ભારત અને સમગ્ર ‘ગ્લોબલ સાઉથ’ માટે ગૌરવ સમાન છે. વિશ્વના 100થી વધુ દેશોની સહભાગિતા અને ખાસ કરીને યુવા પેઢીનો AI પરનો ભરોસો અને તેની સ્વીકાર્યતા ખરેખર અભૂતપૂર્વ છે, જે ભવિષ્ય માટે નવો વિશ્વાસ પેદા કરે છે.’
આ પણ વાંચો: ‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
સમિટમાં સાત મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ, સુરક્ષિત અને વિશ્વસનીય AI, અને સંસાધનોનું લોકશાહીકરણ સામેલ છે. સાંજના સમયે પીએમ મોદી ગ્લોબલ ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેશે, જ્યાં રોકાણ, રિસર્ચ અને સપ્લાય ચેન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત માટે અને સમગ્ર ગ્લોબલ સાઉથ માટે આ સમિટનું આયોજન ગૌરવનો વિષય છે, જેમાં ખાસ કરીને યુવા પેઢીનો ઉત્સાહ એક નવો આત્મવિશ્વાસ પેદા કરી રહ્યો છે.
















