Air India Plane Crash: અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચેલા અને ગંભીર રીતે દાઝેલા પીડિત અજય પરમારે એરલાઈન્સ કંપની સામે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. તેણે દાવો છે કે કંપનીએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી, વકીલ કે પરિવારની ગેરહાજરીમાં દબાણ પૂર્વક દસ્તાવેજો પર સહી કરાવી લીધી છે.
પીડિત 23 ટકા દાઝી ગયો હતો
મળતી માહિતી અનુસાર, 12મી જૂનના રોજ જ્યારે અજય પરમાર મોપેડ લઈને જમવા જઈ રહ્યા હતા, ત્યારે પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ અકસ્માતમાં તેનું મોપેડ સળગી ગયું હતું અને તે 23 ટકા જેટલા દાઝી ગયો હતો. અકસ્માત બાદ તેણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત બે મહિના સુધી સારવાર લીધી હતી. પીડિત અજય પરમારના જણાવ્યાનુસાર, લગ્નના માત્ર એક જ મહિના બાદ આ દુર્ઘટના ઘટી હતી. શારીરિક અક્ષમતાને કારણે પત્ની પણ જતી રહી છે અને હાલ તેમની પાસે કોઈ રોજગારી નથી.

આ પણ વાંચો: અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ
‘મને દસ્તાવેજ સમજાયો નહોતો’
અજય પરમારે દાવો કર્યો કે, મોપેડના ખર્ચના બિલ પર સહી કરાવવાના બહાને તેની પાસે ‘ફુલ એન્ડ ફાઈનલ’ સેટલમેન્ટના દસ્તાવેજો પર સહી કરાવી લેવામાં આવી. વકીલ કે પરિવારને જાણ કર્યા વગર જ દસ્તાવેજો પડાવી લેવાયા. તેમણે કહ્યું કે, ‘મને દસ્તાવેજ સમજાયો નહોતો.’ 5 લાખ રૂપિયા આપીને કાયમી કાનૂની હક્કો છીનવી લેવાનો પ્રયાસ થયો હોવાનો દાવો. અત્યાર સુધી તેને 25 હજાર રોકડા અને 25 લાખ (સારવાર/વળતર પેટે) મળ્યા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ ભવિષ્યની રોજગારી અને નુકસાન સામે આ રકમ અપૂરતી છે.
પીડિત અજય પરમારે કહ્યું કે, ‘હું 5 લાખ રૂપિયા પરત આપવા તૈયાર છું, પણ મારે ન્યાય જોઈએ. એર ઈન્ડિયાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારે કામ જોઈએ છે, મને અત્યારે કોઈ રોજગારી આપતું નથી.’















