![]()
તાલાલાના જાવંત્રી ગીર ગામે હિચકારી ઘટના : વર્ષોથી ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા 8 શખ્સોનો ઘાતકી હુમલો : બાળક સહિત 3 ઘાયલ
તાલાલા ગીર, : તાલાલાના જાવંત્રી ગીર ગામે જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ કરીને જીવતા સળગાવી દેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા આઠ શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલાને ગંભીર પહોંચી હતી. આ ઘટના મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
વિગત પ્રમાણે તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામના બસીરભાઈ જીવાભાઇ બાદરાણીની ખેતીની 54 વીઘા જમીન લીમધ્રા ગીરની સીમ વિસ્તારમાં આવેલી છે. વર્ષો પહેલા આ જમીન જમાલભાઈ ચકુરભાઈ મોરીના પરિવારને ભાગીયું આપ્યું હતું. ભાગીયું રાખ્યા બાદ આ પરિવારે જમીનમાં કબજો જમાવી દેતા પરત લેવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં વર્ષ 2023માં કબજો ખાલી કરીને જમીન મુળ ખાતેદાર માલિકને પરત સોંપવા કોર્ટે હુકમ કર્યો હતો. જેથી ગત ડિસેમ્બર મહિનામાં પોલીસની હાજરીમાં જમીનનો કબજો મૂળ ખેડૂતને સોંપ્યો હતો.
આ બાબતે ચાલતા મનદુ:ખમાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે આઠ શખ્સોએ વાડીએ ધસી આવીને દેશી બંદૂકમાંથી ફાયરિંગ કરી ‘જમીન ખાલી કરી બધા જતા રહો, નહીંતર જીવતા સળગાવી દેશું..’ એવી ધમકી આપી હતી અને એ સાથે જ પેટ્રોલથી પલાળેલા સળગતા ટૂકડાં મકાન ઉપર ફેંકી આગ ચાંપી દઈને નાસી છૂટયા હતા. જેથી ભયભૂત ખેડૂત પરિવારે હો-હા દેકારો કરતા સરપંચ અલ્તાફભાઈ બ્લોચ તથા ગામલોકો દોડી આવ્યા હતા અને વેરાવળથી ફાયર બ્રિગેડ બોલાવીને આગ કાબુમાં લીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પરિવારને સારવાર માટે વેરાવળ હોસ્પિટલે ખસેડયો હતો. જેમાં હુસેનાબેન અબ્દુલભાઈ બાદરાણી (ઉ.વ. 75)ને ગંભીર ઇજા થતાં વેરાવળથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હતા. જ્યારે રેહાનાબેન ઉમરભાઈ બાદરાણી (ઉ.વ. 29) તથા તેમના પુત્ર તાહિદ ઉકાભાઇ ચોટિયારા (ઉ.વ. 7)ને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. આગમાં અસરગ્રસ્ત પરિવારની ઘરવખરી બળી જતાં નાશ પામી હતી.
આ બનાવ અંગે કાસમભાઇ બાદરાણીની ફરિયાદ લઈ પોલીસે હુમલાખોર મમદહુસેન કાસમભાઇ મોરી, રફિક કાસમભાઇ મોરી, અકરમ કાસમભાઇ મોરી (રહે.બધા જાવંત્રી ગીર) તથા 5 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી આંકોલવાડી મહિલા પીએસઆઇ પૂર્વાબેન ધનેશાએ વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ વર્ષ 1982માં ફાયરિંગ થયું હતું
જાવંત્રી ગીર ગામની લીમધ્રા સીમ વિસ્તારની ખેતીની જમીન માટે અંદાજે 44 વર્ષથી ઝગડો ચાલે છે.આ દરમિયાન 1982 માં પણ ધીંગાણું થયું હતું.આ ધીંગાણામાં ફાયરિંગ થયું હતું તેમ ગામ લોકોએ જણાવ્યું હતું.

















