![]()
– કાશ્મીર ઘાટીમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલાના પ્રયાસ નિષ્ફળ
– ઇસ્લામાબાદમાં 6 ફેબ્રુઆરીના હુમલા બાદ તોયબા સક્રિય, ભારતમાં આઇઇડીથી મોટા હુમલાની ફિરાકમાં
નવી દિલ્હી : કાશ્મીર ઘાટીમાં છેલ્લા ચાર દિવસમાં આઇઇડી દ્વારા મોટા હુમલાનો ચાર વખત પ્રયાસ થયો હતો, જોકે આ તમામ પ્રયાસોને સુરક્ષાદળો દ્વારા નિષ્ફળ બનાવાયા છે. હાલમાં રાજધાની દિલ્હીમાં પણ હુમલાની શક્યતાઓને પગલે લાલ કિલ્લા, ચાંદની ચોક સહિતના કેટલાક વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવાયું હતું. શનિવારે સુરક્ષાદળોએ કાશ્મીરના ગન્ડેરબાલ જિલ્લામાં એક આઇઇડી બોમ્બને નિષ્ક્રિય કરી દીધો હતો, સુરક્ષાદળોના વાહનોને નિશાન બનાવવા આ બોમ્બને રોડ બાજુ લગાવાયો હતો.
સુરક્ષા એજન્સીઓને એવી બાતમી મળી છે કે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં મહત્વના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા ટાર્ગેટ લિસ્ટમાં સામેલ કર્યા છે. જેમાં દિલ્હીના ભારે ભીડ વાળા ચાંદની ચોકમાં આવેલું એક મંદિર પણ સામેલ છે. આ બાતમી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ, દળો દોડતા થઇ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ કરાઇ હતી. આતંકીઓ આઇઇડી આધારીત હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ૬ ફેબ્રુઆરીના થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતમાં કોઇ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને હુમલો કરવામાં આવી શકે છે તેવા ઇનપુટ એજન્સીઓને મળ્યા છે. જેને પગલે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ બન્ને સાથે મળીને આવા કોઇ પણ પ્રકારના હુમલાને નિષ્ફળ બનાવવા સંયુક્ત રીતે તાલમેલ બેસાડી કામ કરી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને ઘાટીમાં આતંકીઓ દ્વારા આઇઇડી બ્લાસ્ટના પ્રયાસો વધી રહ્યા છે, છેલ્લા ચાર દિવસમાં આવા વિસ્ફોટના ચાર પ્રયાસોને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. ૧૮ ફેબ્રુઆરીએ આતંકીઓએ નારબલ નજીક આઇઇડી લગાવ્યું હતું, આ આઇઈડી શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર લગાવાયું હતું, જ્યારે બારામુલ્લાના ઝાંબાઝપોરામાં રોડ નજીક આતંકીઓ દ્વારા આઇઇડી લગાવાયું હતું, જોકે સુરક્ષાદળોએ તેને નિષ્ક્રિય કરી દીધુ હતું પરિણામે મોટો હુમલો ટળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી આઇઇડી મળી રહ્યા છે જેને લઇને સુરક્ષાદળો વધુ એલર્ટ થઇ ગયા છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીથી આગળ વધી રહ્યા છે.
















