![]()
અન્ય ચાર આરોપીઓને પકડવા પોલીસની મથામણ
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી, હાલ દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરવાની ધમકીના ગુનામાં ધરપકડ
જૂનાગઢ: મહાશિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે ત્રણ ગુના દાખલ થયા છે. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી તેની ધરપકડ કરી લીધી છે. તાલુકા પોલીસમાં નોંધાયેલા ર૦ લાખની ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાના ગુનામાં ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારથી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી. તેવામાં તા.ર૦ની રાત્રીએ કીર્તિ પટેલ સામે ર૦ લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમ તથા ટેકનોલોજીની મદદ લઈ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેવામાં પોલીસને બાતમી મળી કે, કીર્તિ પટેલ રાજસ્થાનના ઉદયપુરમાં છે. આથી, તેને પકડવા માટે પોલીસની ટીમ દોડી ગઈ હતી. કીર્તિ પટેલને ત્યાંથી પકડી જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે તેને સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ બાદ તાલુકા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયો ત્યારથી તે ક્યાં-ક્યાં છૂપાણી હતી, કોણે તેને આશરો આપ્યો હતો, તેની સાથેના સહઆરોપીઓ ક્યાં છે, તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતા કે કેમ, ર૦ લાખની ખંડણીપેટે ફરિયાદીએ કોઈ રકમ આપી છે કે કેમ તે માટે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે.
કીર્તિ પટેલે પોતાનું મોં છૂપાવ્યું
કીર્તિ પટેલ સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધાયેલ હોવાથી તેણે પોતાનું મોઢું છુપાવવા માટે દુપટ્ટો બાંધી દીધો હતો. મોઢું ખુલ્લું રહે તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા હુમલો થાય કે તેની જાનનું જોખમ હોવાથી દુપટ્ટો બાંધવાની સહમતી આપવામાં આવી હોવાનું ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું છે.
















