![]()
જામનગરમાં નીલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતી હીનાબેન જીગ્નેશભાઈ મરદાનિયા નામની 30 વર્ષની વાણંદ જ્ઞાતિની પરણીતાએ પોતાના ઘેર ફીનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરી છે. પોલીસ ટુકડીએ જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ તેણીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પતિના ત્રાસના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.
હીનાબેન ના જણાવાયા અનુસાર તેણીના લગ્ન આજથી 9 વર્ષ પહેલા થયા હતા. પરંતુ અત્યાર સુધીમાં તેણીને કોઈ સંતાન પ્રાપ્ત થયું ન હોવાથી પતિ દ્વારા અવારનવાર મારકૂટ કરીને ત્રાસ ગુજારવામાં આવતો હતો. અગાઉ અલગ અલગ ચાર વખત પોતે પોતાનું ઘર છોડીને માવતરે ચાલી આવી હતી, પરંતુ દર વખતે સમાધાન કરાવીને પરત લઈ જતા હતા.
દરમિયાન પરમદીને રાત્રિના પતિ જીગ્નેશ એ સંતાન બાબતે તકરાર કરી માર કુટ કરી હતી જેથી હીનાબેનને મનમાં લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. હાલ તેણી સારવાર હેઠળ છે, અને ભાનમાં છે. પોલીસે તેણીના નિવેદનના આધારે પતિ જીગ્નેશ દેવકરણભાઈ મરદાનીયા સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

















