EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ એક મોટી ગુડ ન્યૂઝ આપી છે. એક સ્પષ્ટતામાં તેણે જણાવ્યું કે, હાયર પેન્શન સંબંધિત એક જોગવાઈ ફરીથી બહાલ કરી દેવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ કેટલાક કર્મચારીઓને તેમના વાસ્તવિક મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના આધાર પર તેમના પેન્શનમાં યોગદાન આપવાની મંજૂરી હતી. આ સુવિધા ફરી બહાલ થવાથી હવે કર્મચારીઓ પોતાના વાસ્તવિક પગારના આધાર પર વધુ પેન્શન યોગદાનનો વિકલ્પ પસંદ કરી શકશે. તો ચાલો એ સમજીએ કે આ કેવી રીતે કામ કરશે અને આખરે કયા કર્મચારીઓને લાભ થશે.
EPFOએ કેમ આ વિકલ્પ બંધ કર્યો હતો?
1 સપ્ટેમ્બર, 2014 પહેલા કર્મચારીઓને પોતાના મૂળ પગારના આધાર પર પેન્શન યોગદાન વધારવાનો વિકલ્પ મળતો હતો. આનાથી ખાસ કરીને PSU કર્મચારીઓને મોટો ફાયદો થતો હતો, પરંતુ પછી પગાર મર્યાદા નક્કી કર્યા આ હાયર પેન્શનનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, EPSનું કેલ્ક્યુલેશન જે પેન્શન યોગ્ય પગાર પર થાય છે, તેની મેક્સિમમ લિમિટ 15,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને આ મોટું કારણ છે કે પેન્શન પણ આ જ આધાર પર મળે છે.
આને સરળ શબ્દોમાં સમજીએ તો 2014માં લાગુ કરાયેલી વર્તમાન મર્યાદા પ્રમાણે લઘુત્તમ EPS માસિક પેન્શન 1,000 છે અને મહત્તમ પેન્શનપાત્ર પગાર 15,000 (મૂળ પગાર + DA) છે. જેના કારણે આ મહત્તમ શક્ય EPS માસિક પેન્શન 7,500 સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. 2014 બાદ ભરતી થયેલા અથવા જેમનો પગાર આ મર્યાદા કરતાં વધુ છે તેવા કર્મચારીઓ પોતાના પેન્શન યોગદાનને તેમના વાસ્તવિક મૂળ પગાર પર આધારિત નથી કરી શકતા, જેના કારણે તેમના સંભવિત પેન્શન લાભો મર્યાદિત થઈ જાય છે.
હાલમાં શું છે EPFનું કેલ્ક્યુલેશન?
EPFOના વર્તમાન નિયમો જોઈએ તો કર્મચારીઓ અને એમ્પ્લોયર બંને પોતાના મૂળ પગારના અને DAનો 12% હિસ્સો EPF ખાતામાં જમા કરે છે. આમાંથી એમ્પ્લોયરના યોગદાનમાંથી 8.33% હિસ્સો કર્મચારી પેન્શન યોજના (EPS)માં જતો રહે છે. બીજી તરફ 3.67% PF ખાતામાં જમા થાય છે. EPSમાં જમા કરાયેલા પૈસા કર્મચારીને નિવૃત્તિ પછી માસિક પેન્શન તરીકે મળે છે.
આ કર્મચારીઓને મળશે સુવિધાનો લાભ
સરકાર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે હાયર પેન્શન બહાલ સુવિધાનો લાભ માત્ર તે કર્મચારીઓને જ મળશે, જેમણે 1 સપ્ટેમ્બર, 2014ના સુધારા પહેલા હાયર પેન્શન વિકલ્પ પસંદ કર્યો હતો. આનો અર્થ એ છે કે, તે બધા EPFO સભ્યોને લાગુ નથી પડતું.
એક અહેવાલમાં અધિકારીઓના હવાલે જણાવવામાં આવ્યું છે કે, આ કોઈ નવો લાભ નથી, પરંતુ માત્ર અગાઉની જોગવાઈને ફરીથી સ્થાપિત કરવાનો છે. જોકે, EPFO દ્વારા આ બહાલીને 2014માં પગાર મર્યાદાના અમલીકરણ પછીથી ચાલી રહેલી મૂંઝવણને દૂર કરવા તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
















