સુરત શહેર આમ તો બ્રિજ સીટી, ગાર્ડન સીટી, ડાયમંડ સીટી અને ટેક્ષટાઈલ સીટી તરીકે ઓળખાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકાના અધિકારીઓ એક બાદ એક લાંચ લેતા ઝડપાઈ રહ્યાં છે તેથી હવે સુરત પાલિકા લાંચીયા સીટી તરીકે કુખ્યાત થઈ રહ્યું છે. સુરત પાલિકાની વાત કરવામા આવે તો છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકામાં 27 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ તો લાંચ લેતા ઝડપાયેલા ની સંખ્યા છે પરંતુ કેટલી લાંચ ઓહિયા થઈ ગઈ હશે તે તો કલ્પનાનો વિષય છે.
સુરત મહાનગરપાલિકામાં રાજકીય આર્શિવાદ ના કારણે લાંચિયા અધિકારીઓને બખ્ખા થઈ રહ્યાં છે. સુરત પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ લાંચ લેવા માટે બેફામ બની ગયા છે કે ઘણી વખત તો શાસક પક્ષના સભ્યોને પણ છોડતા નથી. તેનું ઉદાહરણ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સામે એસીબીમાં ફરિયાદ નોંધાયા બાદ બહાર આવ્યું છે.
સુરત શહેરના વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરની યાદીમાં સમાવેશ થયો છે તેની સાથે સાથે સ્માર્ટ સીટી સુરતમાં લાંચ નો ગ્રાફ પણ વધી રહ્યો છે. પાલિકામાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર જેવો ઘાટ થઈ રહ્યો છે પરંતુ કામ કરાવવા માગતા લોકો ફરિયાદ કરતા નથી તેમ છતાં સુરત પાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં 27 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા એસીબીના ઝપેટમાં આવી ગયા છે.
ડિસેમ્બર 2023માં સુરત પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા અને તેનો પટાવાળો લાલુ પટેલ એક ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર ના બિલ પાસ કરાવવા તથા સિક્યોરિટી ડિપોઝિટ છુટી કરવા માટે અઢી લાખ રૂપિયાની લાંચ માગી હતી અને એ.સી.બી.માં ઝડપાઈ ગયા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2025 માં ઉધના ઝોન એ – બી અને લિંબાયત ઝોનમાં ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ પાલિકાની મુખ્ય કચેરી એક હોટલના ફાયર એન.ઓ.સી. આપવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
આ ઘટના તાજી હોવા છતાં રાજકીય આર્શિવાદથી બેફામ બનેલા લિંબાયત ઝોનના ઝોનલ ઓફિસર વિપુલ ગણેશવાલા એસીબીની ઝપેટમાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામ અંગે 15 લાખની લાંચ માંગ્યા બાદ તેમનો એજન્ટે ચાર લાખની લાંચ લીધી હતી. ગણેશવાલાની સાથે છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકામાં 27 કર્મચારીઓ એસીબીની ઝપેટમાં સત્તાવાર આવી ગયાં છે .
છેલ્લા પાંચ વર્ષમાં 27 કર્મચારીઓ એસીબીની ઝપેટમાં આવી ગયા છે પરંતુ કાયદાની લાંબી પ્રક્રિયાના કારણે હજી એક પણ કેસમાં દાખલારૂપ સજા થઈ નથી જેના કારણે સુરત પાલિકાની લાંચિયા તરીકે કુખ્યાત બની રહ્યું છે.
પાલિકામા સેટિંગ સિસ્ટમ મજબુત માટે રાજકારણીઓના આર્શીવાદ જવાબદાર
સુરત મહાનગરપાલિકામાં પટાવાળા- સફાઈ કામદાર થી માંડીને ચીફ એકાઉન્ટન્ટ સુધીના 27 જેટલા કર્મચારીઓ- અધિકારીઓ લાંચ પ્રકરણમાં એસીબીની ઝપેટમાં આવ્યા છે. પાલિકા દ્વારા લાંચમાં પકડાયેલા સફાઈ કામદાર અને પટાવાળાને સજાના ભાગ રુપે પહેલા જે જગ્યાએ હતા તેના કરતાં દૂર ફરજ પર મુકવાની પ્રથા હોય છે પરંતુ રાજકીય સેટીંગ ના કારણે આ પ્રથા સુરત માં ચાલતી નથી.
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં 27 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે કાયદાની પ્રક્રિયાના કારણે તેમને હજી સજા નથી થઈ તો બીજી તરફ પાલિકા દ્વારા આવા લાંચીયા કર્મચારીઓને સજારૂપ પોસ્ટ આપવાના બદલે ફરીથી મલાઈદાર પોસ્ટ પર જ નોકરી માટે ઓર્ડર કરવામાં આવે છે. આવા લાંચ લેતા ઝડપાયેલાને ફરીથી મલાઈદાર ખાતાં જ કેમ મળે છે? તે પ્રશ્ન પણ જોરશોરમાં ચર્ચાઈ રહ્યો છે.
સુરત પાલિકામાં ગેરકાયદે બાંધકામ ની લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીઓને તે જ પ્રકારની જવાબદારી પાલિકા ફરી સોંપી રહી છે તે પાલિકાની મજબુરી છે કે પાલિકામાં ચાલતું સેટીંગ છે તે તપાસનો વિષય બની જાય છે. એક માત્ર તાલીમાર્થી સફાઈ કામદાર લાંચ લેતા ઝડપાયા હતા તેને તાલીમ માંથી દુર કરવામા આવ્યો હતો. ત્યાર બાદ કોઈને દાખલારૂપ સજા થઈ નથી જેના કારણે લાંચીયા કર્મચારીઓની હિંમત ખુલી રહી છે















