ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ સંસ્કૃત પ્રોત્સાહન યોજના હેઠળ ધોરણ 10માં વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તેવી સ્કૂલોને રોકડ પુરસ્કાર અને પપ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
શાળાના આચાર્ય અને સંસ્કૃત વિષય ભણાવનાર શિક્ષકનું વિશેષ સન્માન કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાચીન ભાષાનું વિદ્યાલયોમાં અસ્તિત્વ ટકાવી રાખવાનું છે ,આ ઉપરાંત વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષાએ સંસ્કૃત વિષય પસંદગ કરીને અભ્યાસ કરે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત યોજાયેલા રાજ્યસ્તરીય સંસ્કૃત સન્માન સમારોહમાં ગણેશ શાળા ટીમાણાને ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી હરેશભાઈ લાધવાને સંસ્કૃત વિષયના ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ સન્માન પત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
સંસ્કૃત પ્રોત્સાહન યોજનાનો મુખ્ય હેતુ રાજ્યભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો છે. આજના આધુનિક યુગમાં અંગ્રેજી અને અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
ખાસ કરીને ધોરણ 10માં અભ્યાસ કરતા 100થી 199વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તેવી શાળાઓને રાજ્યસ્તરે 25000 રૂપિયા,200 થી 299 વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તેવી શાળાઓને રાજયસ્તરે 50,000 રૂપિયા,300 થી 399 વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તેવી શાળાઓને રાજ્યસ્તરે 75000 રૂપિયા અને 400 કે તેથી વધારે વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તો તેવી શાળાઓને રાજ્યસ્તરે 1,00,000 રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવે છે, જેથી સંસ્કૃત શિક્ષણને વધુ મજબૂત બનાવવામાં સહાય મળે.
ગણેશ શાળા ટીમાણા માટે આ સન્માન વિશેષ મહત્વ ધરાવે છે. હાલ શાળામાં ધોરણ 10માં કુલ 389 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગૌરવની વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કર્યો છે. એક જ શાળામાં એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તે અનોખી સિદ્ધિ માનવામાં આવે છે.
આચાર્યશ્રી હરેશભાઈ લાધવાએ સંસ્કૃત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ જાગે તે માટે વિવિધ નવીન પદ્ધતિઓ અપનાવી છે. શાળામાં સંસ્કૃત ભાષા સપ્તાહ, શ્લોક સ્પર્ધા, સંસ્કૃત સંવાદ કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ભાષા સાથે જોડવામાં આવે છે.
શાળાઓ દ્વારા સંસ્કૃતને પ્રોત્સાહન આપવું એ સાંસ્કૃતિક વારસાની જાળવણી સમાન છે. પુરસ્કાર રૂપે મળેલ આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના હિતમાં અને સંસ્કૃત શિક્ષણને વધુ સશક્ત બનાવવા માટે કરવામાં આવશે.

















