![]()
Jamnagar : જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એક પરિણીત યુવતીએ રિસાઈને માવતરે આવ્યા બાદ પોતાના છૂટાછેડા થઈ જશે તેવા ડરના કારણે પોતાની કાયા પર જલદ પ્રવાહી છાંટી અગ્નિ સ્નાન કરી લેતાં તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી ચાર્મીબેન મયુરભાઈ લુણસિયા નામની 28 વર્ષની પરિણીત યુવતિ કે જે પતિ સાથે ઝઘડો થતાં રિસાઈને પોતાના પિતા જગદીશભાઈ બારોટને ઘેર આવી ગઈ હતી, અને પોતાના તાજેતરમાં છુટા છેડા થઈ જશે, અને પતિ છૂટાછેડા આપી દેશે. તેવો માનસિક ડર મનમાં બેસી ગયો હતો, અને ડિપ્રેશનમાં રહ્યા બાદ પોતાના હાથે શરીર પર ટરપેન્ટાઇન છાંટી અગ્નિ સ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
મૃતક ચાર્મીબેનના પિતા જગદીશભાઈ રામજીભાઈ બારોટએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસે બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ચાર્મીબેનના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર્મીબેનના પતિ સાથે ઝઘડો થયો હોવાથી તેણી છેલ્લા દોઢ મહિનાથી તેણીના માવતરે પિતા જગદીશભાઈને ત્યાં આવીને રહેતી હતી, અને પતિ મયુરભાઈ તેણીને છૂટાછેડા આપી દેશે, તેવો માનસિક ડર બેસી ગયો હોવાથી તેણી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.















