![]()
– શહેરના રૂપમ ચોક, કાળુભા રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરાઈ
– લારી, ફ્રીઝ, ટેબલ, કેરેટ સહિતનો સામાન જપ્ત કરાયો, દબાણકર્તાઓમાં નારાજગી
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખી છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા મંગળવાર અને બુધવારે જુદા જુદા વિસ્તારમાંથી રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યા હતા, જેમાં મંગળવારે ભાવનગર શહેરના રૂપમ ચોક, કાળુભા રોડ, વિદ્યાનગર વગેરે વિસ્તારમાંથી અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૦૯ ટેબલ, ૦૧ ફ્રીઝ, ૦૨ લારી, ૦૩ કેરેટ, ૦૧ કાઉન્ટર, અન્ય છૂટક સામાન વગેરેનો સમાવેશ થાય છે. જયારે જશોનાથ સર્કલથી ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક, પીરછલ્લા માર્કેટ, હાઈ કોર્ટ રોડ પરથી અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં ૦૧ પ્લાસ્ટિક ટેબલ, ૦૪ પ્લાસ્ટિક સ્ટૂલ ૧૫ કપડાંના બોરા, ૦૧ બોર્ડ (મંજૂરી વગરનું), ૦૬ કેરેટ, ૦૪ છત્રી, ૦૨ લારી, અન્ય કોસ્મેટિક તેમજ છૂટક સામાન જપ્ત કર્યો હતો.
મહાપાલિકાની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. દબાણ દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ કરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.















