– મોદી ઈઝરાયેલની સંસદને સંબોધન કરનારા ભારતના પહેલા પીએમ
– મોદી મારા મિત્ર નહીં ભાઈ, અમે સાથે મળી અનેક ચમત્કાર કર્યો, દુનિયામાં યહુદીઓનો વિરોધ વધ્યો ત્યારે ભારત અમારી સાથે : નેતન્યાહુ
– ઈઝરાયેલની સંસદે તેના સર્વોચ્ચ સન્માન સ્પીકર ઓફ ધ નેસેટથી પીએમ મોદીનું સન્માન કર્યું
જેરુસલેમ : ઈઝરાયેલના બે દિવસના પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઈઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, જે દિવસે ભારતે ઈઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી તે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ મારો જન્મ થયો હતો. ભારતે હંમેશા ઈઝરાયેલને સાથ આપ્યો છે અને ગમે તે મુશ્કેલ સમયમાં પણ તેની સાથે ઊભું રહ્યું છે. હમાસના આતંકી હુમલાને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યાને જરા પણ સાંખી લેવાય નહીં. આ સાથે પીએમ મોદી ઈઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કરનારા ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા. નેસેટમાં મોદી-મોદી અને જય હિંદનો સૂત્રોચ્ચાર થયો હતો.
ઈઝરાયેલના સાંસદોને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચે વ્યાપારિક, રણનીતિક જ નહીં પરંતુ સુરક્ષાના પણ સંબંધ છે. નવેમ્બર ૨૦૨૫માં અમે સંરક્ષણ સહયોગ માટે કરાર કર્યો હતો. આ અનિશ્ચિત વિશ્વમાં અમારી મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૨૦૦૬માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું પહેલી વખત ઈઝરાયેલ આવ્યો હતો. ત્યાર પછી મારું આવવાનું ચાલતું રહ્યું અને બંને દેશના સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા છે. ઈઝરાયેલ ફાધર લેન્ડ છે અને ઈન્ડિયા મધરલેન્ડ છે.
હમાસના આતંકી હુમલાને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, કોઈપણ કારણ હોય પરંતુ સામાન્ય લોકોની હત્યાને સ્વીકારી શકાય નહીં. કોઈપણ બાબતને આતંકવાદથી સાચી ઠેરવી શકાતી નથી. ભારતે લાંબા સમય સુધી આતંકવાદનો સામનો કર્યો છે. હમાસના આતંકી હુમલાને પણ કોઈ રીતે સાંખી લઈ શકાય નહીં. આતંકવાદ વિરુદ્ધ ભારતની ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે. ગાઝા પીસ ઈનિશિયેટીવ, જેને સંયુક્ત રાષ્ટ્રે માન્યતા આપી હતી તે દુનિયાને શાંતિનો માર્ગ બતાવે છે.
વિશ્વ યુદ્ધને યાદ કરતા તેમણે કહ્યું કે, આ ભૂમિ પર ભારતનો સંબંધ લોહી અને બલિદાન સાથે જોડાયેલો છે. પહેલા વિશ્વ યુદ્ધમાં ભારતના ૪,૦૦૦થી વધુ જવાનોએ પોતાનો જીવ આપ્યો હતો. જોધપુર લાન્સર્સના બ્રિટિશ ભારતીય સૈન્યના અધિકારી મેજર ઠાકુર દલપતસિંહના શૌર્યને મોદીએ યાદ કર્યું હતું. ઈઝરાયેલની સંસદે તેના સર્વોચ્ચ સન્માન સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી પીએમ મોદીને સન્માનિત કર્યા હતા. પીએમ મોદીને બધા સાંસદોએ ઊભા થઈ આવકાર્યા હતા.
બીજીબાજુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, પીએમ મોદી તેમના મિત્ર નહીં પરંતુ ભાઈ છે. દુનિયામાં આજે યહુદીઓનો વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે ભારત અમારી સાથે ઊભું છે. ભારત એવો દેશ છે જ્યાં યહુદીઓ પર ક્યારેય અત્યાચાર નથી થયો. માત્ર સ્વાગત થયું છે. અમે આ બાબત ક્યારે નહીં ભૂલીએ. ભારત અને ઈઝરાયેલના સંબંધો જગજાહેર છે. પીએમ મોદી તમે ક્યારેય બહાના નથી બનાવતા. તમે ખરેખર અમારી સાથે ઊભા રહ્યા છો.
મોદી-નેતન્યાહુ વચ્ચે આજે કૃષિ, સંરક્ષણ સહિતના ક્ષેત્રે કરારની શક્યતા
તેલ અવીવ : પીએમ મોદીએ બુધવારે બેન્જામીન નેતન્યાહુ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, પીએમ નેતન્યાહુ સાથે મારી શાનદાર બેઠક થઈ. આજે સવારે જે રીતે મારું ઉમળકાભર્યું સ્વાગત થયું તેના માટે હું તેમનો આભારી છું. અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. અમે ટેક્નોલોજી, જળ સંચાલન, કૃષિ, ટેલેન્ટ પાર્ટનરશિપ અને અનેક ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. સાથે અમે મધ્ય-પૂર્વમાં થઈ રહેલા મહત્વપૂર્ણ ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદી ઈઝરાયેલના બે દિવસના પ્રવાસના ભાગરૂપે ગુરુવારે યાદ વાશેમની મુલાકાત લેશે અને ત્યાર પછી બંને દેશના વડાપ્રધાન તેમની ટીમો સાથે બેઠક કરશે. આ સમયે આર્થિક, સુરક્ષા અને રાજદ્વારી સહિતના અનેક મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ કરારો કરાશે, જે ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો સહયોગ વધુ આગળ લઈ જશે.
આ પહેલાં વડાપ્રધાન નેરન્દ્ર મોદી બુધવારે ઈઝરાયેલના બે દિવસના પ્રવાસે તેલ અવીવ પહોંચ્યા હતા. તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ઉમળકાભર્યું સ્વાગત કરાયું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પત્ની સારા સાથે એરપોર્ટ પર જ પીએમ મોદીને આવકાર્યા હતા. પીએમ મોદી અને નેતન્યાહુ બંને એરપોર્ટ પર ગળે મળ્યા હતા.















