રિપોર્ટ: અનુજ ઠાકર.
પિતા-પુત્રના અતૂટ સંબંધ, પેઢી વચ્ચેના વિચારોના મતભેદ, પ્રેમ અને સમજણના મૂલ્યોને ઉજાગર કરશે. ફિલ્મમાં લોકપ્રિય ગાયક કલાકાર આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને કીર્તિદાન ગઢવીનો મધુર સ્વર.
ગુજરાતી સિનેમામાં એક વધુ હ્રદયસ્પર્શી પારિવારિક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે. લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ અને સંજય લાલવાણી પ્રસ્તુત તથા રામ ગોપાલ પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ફિલ્મ “લાગણી નો મેળો” આગામી તા. 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મનું નિર્દેશન રાજન રામગોપાલ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માતા એમ. રમેશ છે. સહ-નિર્માતા તરીકે વૃંદા બ્રહ્મભટ્ટ, પ્રગ્નેશ મલ્લી, નિશા વ્યાસ અને ક્રીથીકા વ્યાસ જોડાયેલા છે. ટીમે આ પ્રોજેક્ટને સર્જનાત્મકતા અને વ્યાવસાયિક દ્રષ્ટિએ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મના લેખનકાર અશોક ઉપાધ્યાય છે, જેમણે પારિવારિક સંબંધોની ઊંડાણભરી કહાનીને અસરકારક રીતે રજૂ કરી છે. ફિલ્મનું સંગીત રાહુલ મુન્જારિયા દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને ફિલ્મનું “લોરી” ગીત લોકપ્રિય ગાયકો આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને કીર્તિદાન ગઢવીના સ્વરે સજ્જ છે, જે ફિલ્મની ભાવનાત્મક અસરને વધુ ગાઢ બનાવશે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આર્જવ ત્રિવેદી જોવા મળશે. તેઓ અગાઉ છેલ્લો દિવસ, ઉંબરો, હેલ્લારો અને શું થયું? જેવી સફળ ફિલ્મોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી ચૂક્યા છે.
તેમની સાથે રૂત્વી પટેલ, સંજય ગલસર, કથા પટેલ, હેમાંગ શાહ, અરવિંદ વેગડા, અપ્રતિમ સિંહ, સુનિલ વીસરાણી, આકાશ ઝાલા, ભાવિની જાની અને અનંગ દેસાઈ જેવા અનુભવી અને પ્રતિભાશાળી કલાકારો જોડાયેલા છે. સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રૂત્વી પટેલ આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં પોતાનો પ્રભાવશાળી ડેબ્યુ કરી રહી છે.
“લાગણી નો મેળો” એક એવી ફિલ્મ છે, જે પિતા-પુત્રના અતૂટ સંબંધ અને પેઢી વચ્ચેના વિચારોના મતભેદને સંવેદનશીલ રીતે રજૂ કરે છે. આજના સમયમાં પરિવારમાં વધતા અંતર અને સંવાદની ખામી વચ્ચે આ ફિલ્મ પ્રેમ, સમજૂતી અને સંબંધોની સાચી કિંમત સમજાવવાનો પ્રયાસ કરે છે.
આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ પરિવાર સાથે બેસીને માણી શકાય એવી લાગણીસભર અને સંદેશાત્મક કહાની છે.















