અખાડા,ભજન મંડળીઓ, ઢોલના તાલ અને “જય ભદ્રકાળી”ના જયઘોષ સાથે વાતાવરણમાં ભક્તિનો માહોલ છવાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:
અમદાવાદના સ્થાપના દિવસ 26 ફેબ્રુઆરી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી. આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અને કોર્પોરેટરઓ, વિવિધ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવોએ મા ભદ્રકાળીને નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ યાત્રામાં માતાજીનો સજાવટદાર રથ, નાસિક ઢોલના તાલ, ગજરાજ, વિવિધ અખાડા, અખાડાના કલાકારોના દમદાર પ્રદર્શન, ભજન મંડળીઓના ભક્તિમય ગાન અને મોટી સંખ્યામાં જોડાયેલા વાહનોનો કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ યાત્રા શહેરના ઐતિહાસિક વિસ્તારો જેવા કે ત્રણ દરવાજા, માણેકનાથ બાબાનું મંદિર, ગાંધી રોડ, ખાડિયા ચાર રસ્તા અને રાયપુર ચકલા થઈને ચકલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. ત્યારબાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીની આરતી અને મહાલક્ષ્મી માતાજીના મંદિરના દર્શન કરી, વસંત ચોક ગણેશ મંદિર અને બહુચરાજી મંદિર થઈને આ ભક્તિમય નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે નિજ મંદિર પરત ફરી હતી.
ગત વર્ષથી માતાજીની નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી. સ્થાપના દિવસના પાવન અવસરે આ નગરયાત્રાએ અમદાવાદની આસ્થા, એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. “જય ભદ્રકાળી”ના જયઘોષ સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી માઈભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.















