Amitabh Kant on Iran Israel War: નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે વિશ્વમાં તેલનું ઉત્પાદન ઠપ થઈ શકે છે. તેમના મતે, જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ જશે અને તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે, જેની સીધી અસર ઊર્જા પર નિર્ભર દેશો પર પડશે. અમિતાભ કાંતે વધુમાં જણાવ્યું કે અમેરિકા આ ક્ષેત્રમાં એક એવી કડક વ્યવસ્થા સ્થાપવા માંગે છે જે વૈશ્વિક સ્તરે પ્રભુત્વ ધરાવતી હોય.
યુરોપ બાદ હવે મિડલ ઈસ્ટમાં નવો મોરચો ખુલતા ચિંતા
ઈરાન પર થયેલા હુમલા અંગે વિશ્લેષણ કરતા અમિતાભ કાંતે જણાવ્યું કે, આ ઇઝરાયલ અને અમેરિકાનું એક સંયુક્ત સૈન્ય અભિયાન છે. ઇઝરાયલ છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યું હતું અને તેમનો મુખ્ય હેતુ ઈરાનમાં સત્તા પરિવર્તન લાવવાનો છે. આ પ્રકારની સ્થિતિ આવનારા સમયમાં વિશ્વ માટે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે, કારણ કે યુરોપમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ બાદ હવે મિડલ ઈસ્ટમાં આ નવો મોરચો ખુલ્યો છે.
આ પણ વાંચો: 25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની મજબૂત આર્થિક રણનીતિ
આ ઉપરાંત ભારતના અર્થતંત્રના સંદર્ભમાં વાત કરતા તેમણે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. તેમણે નોંધ્યું કે અત્યાર સુધી ભારતની વૃદ્ધિ મુખ્યત્વે સર્વિસ સેક્ટર પર આધારિત રહી છે, પરંતુ હવે દેશ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ પર આપવામાં આવી રહેલો આ ભાર ભારતીય અર્થતંત્ર માટે સારો સંકેત છે, કારણ કે તેનાથી દેશમાં મોટા પાયે રોજગારીની નવી તકો ઉભી થશે.
















