![]()
અમદાવાદ,રવિવાર
શહેરના માનસી સર્કલ અને એસ જી હાઇવે ગોતા પાસે ઓવરસ્પીડમાં જતા વાહનચાલકોએ રસ્તો ક્રોસ કરેલી રહેલા વ્યક્તિઓને ટક્કર મારી હતી. જેમાં બંને ઇજાગ્રસ્તોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ અંગે એ ડીવીઝન અને એસ જી હાઇવે ૧ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
વસ્ત્રાપુર તક્ષશિલા ટાવરમાં રહેતા ૮૪ વર્ષીય મહેશભાઇ રાંદેર ગત ૨૫મી ફેબુ્રઆરીના રોજ બપોરના સમયે માનસી સર્કલથી સુદર્શન સર્કલથી રસ્તો ક્રોસ કરીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે કારની ટક્કર લાગતા નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જો કે કારચાલકે જણાવ્યું હતુ કે કારની ટક્કર તેમને લાગી નહોતી પણ તે ડરી ગયા હતા.ત્યારબાદ આકરી પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતુ કે કારની ટક્કર લાગી હતી. જેના આધારે એ ડીવીઝન ટ્રાફિક પોલીસે કારચાલક પુષ્પદાન ગઢવીએ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
અન્ય બનાવમાં ગોતામાં આવેલા શીવપાર્કમાં રહેતા સિદ્ધાર્થસીંગ ચૌહાણ ( ઉ.વ.૬૦) શનિવારે ગોતાથી વૈષ્ણોદેવી તરફ જતા એસ જી હાઇવે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે એક કારચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. તપાસ કરતા કારચાલકનું નામ જીગર જાડેજા (રહે. સનસાઇન હાઇટ્સ-૧, કુડાસણ) હોવાનું જાણવા મળ્યું હતું.















