![]()
– ઉદ્યોગોના ઝેરી કચરાના ગેરકાયદે નિકાલનો આક્ષેપ
– અમદાવાદ ગ્રામ્યમાં માછલીઓના મોતની ચોથી ઘટના, જીપીસીબીની કામગીરી પર સવાલ
બગોદરા : અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલ કલ્યાણગઢ ગામની સીમમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીંના એક તળાવમાં અચાનક મોટા પ્રમાણમાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક ખેડૂત ઇન્દ્રવદનસિંહ વાઘેલાએ આ ઘટનાની જાણ લોકોને કરી હતી. તેમના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે આસપાસની ઔદ્યોગિક કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ટેન્કરો ભરીને કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવ કે ખુલ્લા ખેતરોમાં ઠાલવવામાં આવે છે. આ ઝેરી પાણીના કારણે તળાવનું જળ પ્રદૂષિત થતા હજારો માછલીઓ મોતને ભેટી છે.
ઉલ્લેખનીય છે કે બાવળા, ધોળકા અને સાણંદ પંથકમાં ઔદ્યોગિક વિકાસની સાથે પ્રદૂષણની સમસ્યા પણ વકરી છે. જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઢીલી નીતિને કારણે કંપનીઓ બેફામ બની છે. અમદાવાદ ગ્રામ્યમાં માછલીઓના મોતની આ ચોથી ઘટના છે, તાજેતરમાં મેટોડા અને રામનગર, અને કલ્યાણગઢ માં પણ સમાન ઘટનાઓ બની હતી, જે પર્યાવરણ પ્રેમીઓ માટે અત્યંત ચિંતાનો વિષય છે. ગ્રામજનો હવે આ મામલે કડક તપાસ અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.















