– નવી પેઢીને એઆઈવાળું શિક્ષણ આપવું આપણી જવાબદારી : ધર્મેન્દ્ર
– ભારત એઆઈ સદીને લીડ કરવા તૈયાર, દેશમાં 92 ટકા નોલેજ વર્કર એઆઈથી સજ્જ : માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ
નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલી એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓના સીઈઓ અને પ્રેસિડેન્ટ્સ એઆઈના ભાવી પર પ્રકાશ પાડી રહ્યા છે. આવા સમયે માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પુનીત ચંડોકે કહ્યું કે, એઆઈ નોકરીઓ ખતમ કરવાના બદલે તેની પ્રકૃતિ બદલી નાંખશે અને એઆઈના ક્ષેત્રમાં નવી નોકરીઓ પેદા થશે. તેમણે એઆઈના કારણે આગામી સમયમાં નોકરીઓમાં મોટાપાયે ઘટાડો આવશે તેવા અહેવાલોને નકારી કાઢ્યા હતા.
દિલ્હીમાં ચાલી રહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહાકુંભ એઆઈ ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬ના પહેલા સેશનમાં પુનીત ચંડોક જોડાયા હતા. સીઆઈઆઈના ડેમોક્રેટાઈઝિંગ એઆઈ રિસોર્સ ફોર ઈકોનોમિક ગ્રોથ એન્ડ સોશિયલ ગુડ ઈવેન્ટમાં પુનીત ચંડોકે કહ્યું કે, એઆઈ નોકરીઓ ખતમ નહીં કરે. વધુ નોકરીઓ પેદા કરશે. તમારી નોકરી કામોનું એક બંડલ છે. એઆઈ આ કામોને અનબંડલ કરી નાંખશે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટે સૂચન કર્યું કે, પ્રોફેશનલ્સે જોબ માર્કેટમાં બની રહેવા માટે સતત એઆઈ ટૂલ્સ શીખવા જોઈએ અને તેને અપનાવવા જોઈએ. એઆઈ એજન્ટ્સ તમારા ડિજિટલ સાથી બની જશે, જે માત્ર ટૂલ્સના બદલે સાથીની જેમ કામ કરશે.
તેમણે ઉમેર્યું કે, આ એઆઈ એજન્ટ્સ તમારી મંજૂરીથી કામ કરશે, પરંતુ તમારી ઈન્વોલ્વમેન્ટથી નહીં. એઆઈમાં મોટાપાયે ઈન્ટેલિજન્સ મેન્યુફેક્ચર કરવાની ક્ષમતા છે અને તે ઈન્ટરનેટ, મોબાઈલ અથવા ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી પાછલી વેવ્સથી ખૂબ જ અલગ છે. ભારત એઆઈ સદીને લીડ કરવા માટે તૈયાર છે, જેમાં ૯૨ ટકા નોલેજ વર્કર એઆઈનો ઉપયોગ કરે છે અને ૫૯ ટકા બિઝનેસ એઆઈ એજન્ટ અપનાવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટ આગામી કેટલાક વર્ષોમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતામાં ૧૭.૫ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેનાથી દેશની એઆઈ વૃદ્ધિને સહયોગ મળશે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, એઆઈ ભારતના વૈશ્વિક જ્ઞાાન નેતૃત્વને શક્તિ આપશે, જે વિકસિત ભારત ૨૦૨૪ની ચાવી છે. ભારતની નવી પેઢીને એઆઈવાળું શિક્ષણ આપવું એ આપણી જવાબદારી છે. એઆઈમાં શિક્ષણ અને શિક્ષણમાં એઆઈ એકબીજા સાથે જોડાયેલા છે. હું આપણા યુવાનોને એઆઈનો ઉપયોગ કરીને શિક્ષણ આપવા, અપનાવવા, મજબૂત બનાવવા અને એવા નવા પગલાં લેવા અપીલ કરું છું, જે ભારતને એઆઈના ક્ષેત્રમાં મહત્વની તાકાત તરીકે સ્થાપિત કરશે.
બિલ ગેટ્સ એઆઈ સમટિમાં ભાગ લેશે
નવી દિલ્હી : માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારના સરકારી મહેમાન બનતા ચંદ્રાબાબુ સરકારની આકરી ટીકા થઈ હતી. આખી દુનિયાને હચમચાવનારા એપસ્ટીન ફાઈલ્સ કૌભાંડમાં બિલ ગેટ્સની કથિત સંડોવણી બહાર આવ્યા પછી દુનિયાભરમાં તેમની ટીકા થઈ રહી છે. આવા સમયે બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાઈ રહેલી એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં હાજર નહીં રહે તેવા સમચારો મીડિયામાં ફેલાયા હતા. જોકે, ગેટ્સ ફાઉન્ડેશને આ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જાહેર કર્યું છે કે બિલ ગેટ્સ એઆઈ સમિટમાં ભાગ લેશે અને તેમની કી નોટ પણ આપશે. હકીકતમાં આ ઈવેન્ટની સત્તાવાર વેબસાઈટ પર તેમાં ભાગ લેનારા દિગ્ગજ અગ્રણીઓના નામમાંથી બિલ ગેટ્સનું નામ ગાયબ હોવાથી એવી અટકળો થઈ હતી કે બિલ ગેટ્સ આ સમિટમાં હાજર નહીં રહે.















