![]()
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી સાધનાબેન ગુલાબભાઈ બગડા નામની 36 વર્ષની પરિણીતાએ પોતાને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી પોતાના ઘરમાં પડેલું એસીડ પી લઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, અને પી.એસ.આઇ. અને તેઓની ટીમ દ્વારા મૃતક સાધનાબેનના મોટા બહેન મનિષાબેન સાગઠીયા, કે જેઓ કાલાવડના જસાપર ગામમાં રહે છે, તેઓને બોલાવીને નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતાની નાની બહેન સાધનાબેનને પતિ સાસુ અને સસરાનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું. સાધના બેનને સંતાન પ્રાપ્ત થયું ન હોવાથી તેના પતિ સાસુ અને સસરા કાયમ મેણાં ટોણા મારતા હતા, તેમજ દોરા ધાગા તથા તાંત્રિક વિધિ કરીને મારકુટ કરી ત્રાસ આપતા હતા તેમજ શંકા કુશંકાઓ રાખતા હતા, જેના ત્રાસના કારણે જ સાધના બેને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.
આથી પોલીસે મનીષાબેન ની ફરિયાદના આધારે તેઓની નાની બહેન સાધનાબેનના પતિ ગુલાબભાઈ હીરાભાઈ બગડા, સસરા હીરાભાઈ મૂળજીભાઈ બગડા, તેમજ સાસુ દુધીબેન હીરાભાઈ બગડા સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
















