![]()
કુડાસણમાં રહેતા ફર્નિચરમાં વેપારી સાથે
વસાહતમાં જ રહેતા યુવાન અને તેની પત્ની દ્વારા આચરવામાં આવેલી ઠગાઈ અંગે આખરે ગુનો દાખલ
ગાંધીનગર: ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં રહેતા ફનચરના વેપારીને આઈટી કંપનીમાં ભાગીદારી આપવાના અને તેમના પુત્રને કેનેડામાં પી.આર. કરાવી આપવાના બહાને પડોશી દંપતીએ ૨૫.૪૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ મથકે નોંધાઈ છે. જેનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના કુડાસણની કાનમ રેસીડેન્સી-૨માં રહેતા અને મોટેરા ખાતે ફનચરનો વ્યવસાય કરતાં ધર્મેન્દ્રભાઈ અર્જુનભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની જ સોસાયટીમાં રહેતા સુભાષ લક્ષ્મીશંકર જોષી સાથે છેલ્લા આઠ વર્ષથી તેમની ઓળખાણ હતી. રાત્રિના સમયે સોસાયટીમાં સાથે બેસતા હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. મે ૨૦૨૫માં સુભાષ જોષીએ ધર્મેન્દ્રભાઈને જણાવ્યું હતું કે, તેની ગાંધીનગરમાં બે આઈટી કંપનીઓ ચાલે છે. તેણે લાલચ આપી હતી કે તે કેનેડામાં તેના મિત્ર કપિલના નામે નવી કંપની દેવ ટેક ઇન્ફો સોલ્યુશન શરૂ કરવાનો છે. આ કંપનીમાં જો તેઓ ૪૯ ટકાના ભાગીદાર બને, તો તેમને મોટો નફો થશે અને તેમના પુત્રને કેનેડામાં નોકરી તેમજ પી.આર. પણ કરાવી આપશે. જેથી ધર્મેન્દ્રભાઈએ ભાગીદારી પેટે ૨૫ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. તેમણે ૧૫ લાખ અને ૫ લાખ રોકડા સુભાષની પત્ની સીમાબેનને આપ્યા હતા તેમજ ૩ લાખનો ચેક અને બાકીની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી.આમ, કુલ રૂ. ૨૫,૪૫,૦૦૦ દંપતીએ મેળવી લીધા હતા. થોડા સમય બાદ જ્યારે તેમણે હિસાબ માંગ્યો ત્યારે સુભાષ દ્વારા ખોટું આશ્વાસન અપાયું હતું કે ત્રણ મહિનામાં ૧૭ લાખનો નફો થયો છે. જોકે, ડિસેમ્બર મહિનામાં સુભાષ જોષી અચાનક ઘર છોડીને જતો રહ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે જે આઈટી કંપનીઓ સુભાષ પોતાની ગણાવતો હતો તે તેની નહોતી અને કેનેડામાં પણ કોઈ કંપની રજીસ્ટર થઈ નહોતી. જેથી તેમની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં ઇન્ફોસિટી પોલીસ મથકમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે.
















