![]()
Rajkot Crime News: રાજકોટ શહેરના હસનવાડી વિસ્તારમાં સોમવારે (23મી ફેબ્રુઆરી) મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. એક કુરિયર ઓફિસમાં કામ કરતા અમન સંધી નામના યુવક પર બે શખસોએ અચાનક હુમલો કરી, છરીના ઉપરાછાપરી 7 ઘા ઝીંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને કાળ બનીને ત્રાટક્યા શખસો
મળતી માહિતી અનુસાર, સોમવારે (23 ફેબ્રુઆરી) રાત્રિના સમયે અમન સંધી પોતાની ઓફિસ પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બે શખસો ઓફિસમાં ઘસી આવ્યા હતા. કોઈ પણ વાત સમજાય તે પહેલા જ તેમણે અમન સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે એક શખસે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી અમન પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાનો જમીનદોસ્ત, આજે બંગલાઓ પર ચાલશે બુલડોઝર
દારૂ પીવા બાબતે થઈ હતી માથાકૂટ!
ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. હુમલા પાછળ ભૂરીયો અને ભગત નામના બે શખસોના નામ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત અમનને આ શખસો સાથે થોડા સમય પહેલા દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને બંને શખસોએ આયોજનબદ્ધ રીતે ઓફિસમાં ઘુસીને હુમલો કર્યો હોવાનું મનાય છે.
હુમલાના પગલે ઓફિસ માલિક અને આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં અમનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઓફિસ અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેના આધારે ભૂરીયો અને ભગતને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
















