![]()
Gujarat Farmers News: રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતો પાસેથી વર્ષ 2026-27 માટે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો આગામી 13 ફેબ્રુઆરીથી 05 માર્ચ, 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ‘ઈ-સમૃદ્ધિ’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. આ નોંધણી પ્રક્રિયા VCE દ્વારા આધાર ઓથેન્ટીકેશનના માધ્યમથી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ચણા માટે પ્રતિ મણ રૂ. 1,175 (રૂ. 5,875 પ્રતિ ક્વિન્ટલ) અને રાઇ માટે પ્રતિ મણ રૂ. 1,240 (રૂ. 6,200 પ્રતિ ક્વિન્ટલ)નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં વાવેતર અને ઉત્પાદનને ધ્યાને રાખીને પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે રવિ પાકોનું વેચાણ કરતાં પહેલા ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં નોંધણી કરાવવી અનિવાર્ય છે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને બજારના ઉતાર-ચઢાવ સામે આર્થિક રક્ષણ મળી રહેશે.
• ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી: 13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી શરુ થશે
• નોંધણીનો સમયગાળો: 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026
• ક્યાં નોંધણી કરાવવી: ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે
• પોર્ટલ: ‘ઈ-સમૃદ્ધિ’ પોર્ટલ પર આધાર ઓથેન્ટીકેશન દ્વારા
• નોંધણી ફી: VCE દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે















