![]()
Jamnagar : જામનગરના નવા ફલાયઓવર બ્રિજ ઉપર ગઈકાલે શિવરાત્રીના તહેવારના મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અને બાઇક સવાર યુવાન પૂલની આરસીસીની દિવાલ સાથે ટકરાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને પૂલ ઉપર મૃત્યુનો પ્રથમ બનાવ બન્યો છે.
જામનગરમાં ખેતીવાડી ફાર્મ શેરી નંબર-8 માં રહેતો દિનેશ વેલજીભાઈ રાઠોડ નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે મોડી રાત્રે 2.15 વાગ્યાના અરસામાં નવા બંધાયેલા બ્રિઝ ઉપરથી પોતાનું જીજે 10 સી. એ. 6675 નંબરનું બાઇક ઓવર સ્પીડમાં ચલાવીને જઈ રહ્યો હતો, જે દરમિયાન સુભાષ બ્રિજ નજીકના ભાગમાં પૂલની આરસીસી દીવાલ સાથે અથડાઈ પડ્યો હતો, અને બાઈક સાથે નીચે પટકાઈ પડ્યો હતો.
જેને ઇજાગ્રસ્ત હાલતમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા વેલજીભાઈ દેવાભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ.એમ.વી મોઢવાડિયા મોડી રાત્રે હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.















