Jamnagar News : જામનગરમાં દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવતાં સ્થાનિકોમાં પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. જેને લઈને મહિલાઓ સહિત 400થી વધુ લોકોના ટોળાએ રજૂઆત કરવા માટે જિલ્લા કલેકટર કચેરીના નિવાસ્થાન તરફ કૂચ કરી હતી. પરંતુ માર્ગમાં પોલીસે તમામને અટકાવ્યા હતા અને આવતીકાલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જણાવી સમજાવટ કરી હતી.
રેલવેની જમીન પર વસવાટ કરતાં પરિવારને તંત્રની નોટિસ
સુરતમાં રેલવે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી દિગઝામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટી વિસ્તારમાં મકાનો ખાલી કરવા માટેની નોટિસ પાઠવી હતી. આ જગ્યા રેલવેની માલિકીની છે, તેમ દર્શાવતી નોટિસ પાઠવવામાં આવી હતી. અને સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા જણાવાયું હતું

સ્થાનિકોનો વિરોધ
આ મામલે સ્થાનિકોમાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આજે ગુરુવારે(12 ફેબ્રુઆરી, 2026) રાત્રિના સમયે મહિલા સહિતના સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા, અને સૂત્રોચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસને આ માહિતી મળતા જ તમામને અટકાવ્યા હતા, અને આવતીકાલે જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવા માટે જણાવીને સમજાવ્યા હતા. જોકે, આ પછી લોકો પરત ફર્યા હતા.
આ પણ વાંચો: જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત
સવારે 10 વાગ્યા બાદ ફરીથી લાલ બંગલા સર્કલમાં એકત્ર થવાનું અને જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાનું કેટલાક આગેવાનોએ જણાવ્યું હતું, ત્યારબાદ લોકો છૂટા પડ્યા હતા, અને પોલીસ તંત્રએ રાહત અનુભવી હતી.















