![]()
Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય? તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જો કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
નવા પ્રવેશને રોકી દેવાયાની ફરિયાદ
અમદાવાદ સેવન્થ ડે શાળાનો વહીવટ હાલ સરકાર હસ્તક ચાલી રહ્યો છે. સેવન્થ ડે સ્કૂલ સંચાલન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ કરવામાં આવી હતી. જેમાં ટાંક્યું હતું કે સરકાર હસ્તક લેવાયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તે પહેલાં જરૂરી દસ્તાવેજો કે રજૂઆતની પૂરતી તક મળી નથી, નવા પ્રવેશને રોકી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
તાજેતરની ઘટના કોર્ટ સમક્ષ ટાંકી
બીજી તરફ સરકાર પક્ષના વકીલે તાજેતરની ઘટના પણ કોર્ટ સમક્ષ મુક્ત જણાવ્યું હતું કે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ તાજેતરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનો શર્ટ બ્લેડથી ફાડી નાંખ્યો અને મારામારી કરી હતી. જે અંગે વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચો: શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ
નોંધનીય છે કે, ગત ડિસેમ્બર 2025માં અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી ‘સેવન્થ-ડે સ્કૂલ’નો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો હતો. DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ સેવન્થ ડે સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી નવા કાયદાકીય અને વહીવટી પ્રશ્નો ઊભા થયા હતા.















