![]()
અમદાવાદ : ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં મ્યુચ્યુઅલ ફંડોએ ભારતીય શેરબજારમાં આશરે રૂ. ૪૧૦૦ કરોડના શેર વેચ્યા છે. ત્રણ વર્ષ સુધી સતત નેટ બાયર્સ રહેલા મ્યુચ્યુઅલ ફંડો પહેલી વખત નેટ સેલર્સ બન્યા છે.
અગાઉ એપ્રિલ ૨૦૨૩માં મ્યુચ્યુઅલ ફંડોએ રૂ. ૪૫૩૨ કરોડથી વધુનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. ત્યારબદના સતત ૩૪ મહિના સુધી ફંડ હાઉસો નેટ ખરીદદારો રહ્યા છે.
જાન્યુઆરીમાં તેમની ખરીદી રૂ. ૪૨,૩૫૫ કરોડના શેરની હતી અને ૨૦૨૫ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ કુલ આશરે રૂ. ૪.૯૩ લાખ કરોડનું રોકાણ કર્યુંં હતું.
નિષ્ણાતોના મતે વેચાણનો આ આંકડો રિડેમ્પશનના દબાણને કારણે નથી, પરંતુ પોર્ટફોલિયો રિબેલેન્સિંગનો એક ભાગ છે. ફંડ મેનેજરો નબળા પ્રદર્શન કરતા શેરોમાંથી બહાર નીકળી રહ્યા છે અને સારી ગુણવત્તાવાળા, ખાસ કરીને લાર્જ-કેપ શેરોમાં તેમનું રોકાણ વધારી રહ્યા છે.
જોકે મહત્વનું એ પણ છે કે ૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુની એસેટ મેનેજ કરતા ક્ષેત્ર માટે રૂ. ૪૧૦૦ કરોડનું વેચાણ કોઈ ખાસ ન ગણાય. આ પસંદગીની સ્કીમો અથવા શેરોમાં વ્યૂહાત્મક પગલું પણ હોઈ શકે છે.
આ સિવાય નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ઇન્ડેક્સની ૩૧ જાન્યુઆરીએ સમીક્ષા કરવામાં આવી હતી, જ્યારે એમએસસીઆઈએ ફેબુ્રઆરીની શરૂઆતમાં તેના ઇન્ડેક્સમાં ફેરફારોની જાહેરાત પણ કરી હતી. પરિણામે ઇન્ડેક્સ રિબેલેન્સિંગને કારણે ફંડોએ કેટલાક શેર ખરીદ્યા અને વેચ્યા હશે.
વિશ્લેષકોના મતે, હવે એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે ઇક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ ચાલુ રહે છે કે નહીં. જો રોકાણકારો ઉપાડ ચાલુ રાખે અને ભંડોળ વેચવાનું ચાલુ રાખે, તો બજારનું દબાણ વધી શકે છે.
બજારમાં સ્પષ્ટપણે નબળાઈના સંકેતો પણ દેખાઈ રહ્યા છે. નિફ્ટી ૫૦૦ તેના ૫૨-સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી લગભગ ૩.૪ ટકા નીચે છે, પરંતુ આ સૂચકાંકમાં લગભગ અડધી કંપનીઓ તેમના ૫૨-સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી ૨૦ ટકાથી વધુ નીચ ટ્રેેડ કરી રહી છે.
















