– વડાપ્રધાને સેવા તીર્થ, કર્તવ્ય પથ 1-2નું ઉદ્ઘાટન કર્યું
– દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર મંત્રાલયોની ઈમારતોના ભાડાં પાછળ થતો વર્ષે રૂ. 1,500 કરોડનો ખર્ચ હવે બચી જશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા વહીવટી પરિસર સેવા તીર્થ અને કર્તવ્ય પથ ૧ અને ૨નું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આપણે એક નવો ઈતિહાસ બનતા જોઈ રહ્યા છીએ. વિજયા એકાદશીનો આ દિવસ ભારતના વિકાસની યાત્રામાં એક નવી શરૂઆતનો સાક્ષી બની રહ્યો છે. આપણે વિકસિત ભારતનો સંકલ્પ લઈને સેવા તીર્થમાં, કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ સાથે વડાપ્રધાન મોદીએ સેવા તીર્થમાં પહેલા જ દિવસે નાગરિકો, મહિલાઓ, ખેડૂતો અને સ્ટાર્ટઅપ માટે મહત્વના નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા હતા.
સેવા તીર્થના ઉદ્ધઘાટન સાથે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) શુક્રવારથી જ ત્યાં શીફ્ટ થઈ ગયું છે. રૂ. ૧૧૮૯ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સેવા તીર્થમાં વડાપ્રધાનની ઓફિસ, કર્તવ્ય પથ-૧માં કેબિનેટ સચિવાલય અને કર્તવ્ય પથ-૨માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયની ઓફિસો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદી પછી સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઈમારતોથી દેશ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, નીતિઓ બની. પરંતુ એ પણ હકીકત છે કે આ ઈમારતો બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક તરીકે બનાવાઈ હતી. આ ઈમારતો બનાવવાનો આશય ભારતને સદીઓ સુધી ગુમાલીની સાંકળોમાં કેદ રાખવાનો હતો. નોર્થ અને સાઉથ બ્લોક ૧૨૫ વર્ષથી બ્રિટિશ સંસ્થાનવાદની ગુલામીના પ્રતીક હતા.
નવા પરીસરોના નિર્માણ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, ૧૦૦ વર્ષ જૂની ઈમારતો અંદરથી જર્જરીત થઈ ગઈ હતી, નવી ટેકનિકો અને ટૂલ્સના ઉપયોગ માટે પર્યાપ્ત નહોતી. આ સિવાય અનેક પડકારો હતા. આઝાદીના દાયકાઓ પછી પણ ભારત સરકારના અનેક મંત્રાલય દિલ્હીના ૫૦થી વધુ અલગ અલગ સ્થળો પરથી ચાલતા હતા. આટલા વર્ષોમાં આ મંત્રાલયોની ઈમારતોના ભાડાં પર જ વર્ષે રૂ. ૧,૫૦૦ કરોડથી વધુનો ખર્ચ થતો હતો. દરરોજ ૮થી ૧૦ હજાર કર્મચારીઓએ એક ઈમારતથી બીજી ઈમારત આવવા-જવાનો લોજિસ્ટિક ખર્ચ અલગ થતો. હવે આ ખર્ચા બચી જશે.
પીએમ મોદીએ કહ્યું કે, રાયસીના હિલ્સ પર ભવનોનું નિર્માણ બ્રિટિશ સમ્રાટની વિચારસરણીને ગુલામ ભારતની જમીન પર ઉતારવાનું માધ્યમ હતું. જોકે, સેવા તીર્થનું આ પરીસર કોઈ પર્વત પર નહીં પરંતુ જમીન સાથે વધુ જોડાયેલું છે. સેવા તીર્થ અને કર્તવ્ય ભવન જેવા નવા પરીસર ભારતની જનતાની આકાંક્ષા પૂરા કરવા માટે બનાવાયા છે.
તેમણે ઉમેર્યું કે, આજે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લઈને સેવા તીર્થમાં, કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણા લક્ષ્યમાં વિજય થવાનો દૈવીય આશીર્વાદ આપણી સાથે છે. વિકસિત ભારતની આપણી કલ્પના માત્ર નીતિઓ અને યોજનાઓમાં જ નહીં આપણા કાર્યસ્થળો અને આપણી ઈમારતોમાં પણ જોવા મળશે.
સેવા તીર્થમાંથી નાગરિકો, મહિલા, ખેડૂતો, સ્ટાર્ટઅપ માટે નિર્ણય લેવાયા
– પીએમ રાહત યોજના, 6 કરોડ લખપતિ દીદી, ખેડૂતો માટે કૃષિ અને સ્ટાર્ટઅપ માટે ભંડોળને મંજૂરી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યાલય પીએમઓને વિજયા એકાદશીના દિવસે સેવા તીર્થમાં ખસેડયું છે. આ સાથે વડાપ્રધાને સેવા તીર્થમાંથી પહેલા જ દિવસે નાગરિકો, મહિલાઓ, ખેડૂતો અને સ્ટાર્ટઅપ માટે મહત્વના નિર્ણયો લીધા હતા.
વડાપ્રધાન મોદીએ સેવા તીર્થમાંથી પહેલા દિવસે પ્રત્યેક નાગરિક માટે જીવન રક્ષક સુરક્ષા માટે પીએમ રાહત યોજનાને મંજૂરી આપી હતી. આ પહેલ હેઠળ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. તેનાથી પીડિતોને તુરંત મેડિકલ મદદ ના મળવાથી કોઈ જીવન ના ગુમાવે તેની ખાતરી કરાશે. આ સિવાય પીએમ મોદીએ ૩ કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક બમણો કર્યો છે. હવે માર્ચ ૨૦૨૯ સુધીમાં ૬ કરોડ લખપતિ દીદીઓનો નવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ભારતની કૃષિ ચેઈનને મજબૂત કરવા માટે પીએમ મોદીએ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ખર્ચ રૂ. ૧ લાખ કરોડથી વધારીને બમણો કરી રૂ. ૨ લાખ કરોડ કરવાને મંજૂરી આપી છે. વધુમાં રૂ. ૧૦,૦૦૦ કરોડના કોર્પસ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડ્સ ૨.૦ ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમને પાવર આપવા માટે વિશેષરૂપે ડીપ ટેક, પ્રારંભિક તબક્કાના આઈડિયા, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને બ્રેકથુ્ર ટેક્નોલોજીમાં વડાપ્રધાને રૂ. ૧૦,૦૦૦ કરોડના કોર્પસ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા એફઓએફ ૨.૦ને મંજૂરી આપી છે.















