સિહોરના અગિયાળી ખાતે જીવદયા હોસ્પિટલની જૈન ભગવંત સાધુ-સાધ્વીજી એ મુલાકાત લીધી
ભાવનગર તા.14/2/2026
તા. 14 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 5:30 કલાકે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ (અગિયાળી) ખાતે પૂ.શ્રી આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ, શ્રી દેવેન્દ્ર મહારાજ સાહેબ તથા સાધ્વીજી મહારાજ સાહેબે મુલાકાત લીધી હતી.
અબોલ જીવની તદ્દન વિનામૂલ્યે સેવા કરતી જીવદયા હોસ્પિટલમાં પ્રવેશ કરતાં જ પૂ.શ્રી આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબે અનન્ય પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી જીવદયા સેવાની ઝીણવટભરી માહિતી તેઓશ્રીએ ધ્યાનપૂર્વક મેળવી હતી. સેવા કાર્યથી પ્રભાવિત થઈ તેમણે રાજીપો વ્યક્ત કરી જીવદયા રક્ષકો તથા સ્ટાફને આશિર્વાદ આપ્યા હતા.
પોતાનો ભાવ વ્યક્ત કરતાં પૂ.શ્રી આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે પાંજરાપોળ એ જ જીવદયા છે, પરંતુ જીવદયા સેવા કેટલી વિશાળ, વૈવિધ્યસભર અને અનન્ય હોઈ શકે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું છે.
તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું કે જીવદયા માત્ર આશ્રય પૂરતું સીમિત નથી, પરંતુ દરેક જીવને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. નાના-મોટા તમામ અબોલ જીવોને બચાવવવા, સમયસર આરોગ્ય સારવાર આપવી, પ્રેમભરી સંભાળ રાખવી તેમજ તેમના પુનઃવસન માટે કરાતા પ્રયાસો પણ જીવદયા સેવાના મહત્વપૂર્ણ અંગો છે.
પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી આ નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

















