Ahmedabad News: અમદાવાદના બાવળામાં છ ગામ – રૂપાલ, આદરોડા, ઝેકડા, સાકોડ વાસના, કોચરિયા, સાલજડાના ખેડૂતોએ વીજ કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. ખેડૂતોએ આરોપ મૂક્યો છે કે ખેતરોમાં ઊભા પાકનો સોથવાળી વીજ કંપનીઓએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર બળજબરી પૂર્વક વીજપોલ નાખી દીધા છે. જેથી પાકને નુકસાન થયું છે અને વળતર પણ ઓછું આપ્યું છે.
મામલતદાર અને પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું
વીજ કંપનીઓની મનમાનીથી પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જે બાબતે આજે છ ગામના ખેડૂતોએ ભેગા મળીને વીજ કંપનીઓ પર કાર્યવાહીની માગ અને યોગ્ય વળતર માટે બાવળા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કચેરી બહાર આક્રોશ ઠાલવી ‘હાય રે દલાલો, હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂતોએ શું કરી માગ?
ખેડૂતોએ બાવળા પ્રાંત અને મામલતદારને રજૂઆત કરી છે કે, બાવળા તાલુકાના ગામોમાં અને બાવળા સિમમાં ખેતીની જમીનમાં વીજપોલ કંપનીઓ દ્વારા કોઈપણ ખેડૂત પરિવાર સાથે વાતચીત કર્યા વગર પિયત પાક તથા બાગાયતી પાકના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આ કંપનીઓએ પોલીસ રક્ષણ મેળવી ખેડૂતની ખેતીની જમીનમાં બળજબરી પૂર્વક વીજપોલ નાખ્યા છે. ભારત સરકાર દ્વારા આપેલ નીતિ નિયમો અને કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરેલો છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ
વધુમાં ખેડૂતોએ નુકસાનનો દાવો કરતાં મુખ્ય ત્રણ માગ મૂકી છે, વીજપોલ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં પિયત પાક અને બાગાયતી વૃક્ષોનો નાશ કર્યો. તેનું વળતર આપવામાં આવે, ખેડૂતોને વીજપોલ થાંભલા (બેઇઝ) અને વાયર(કોરીડોર)નું વળતર બજાર કિંમતના અનેક ગણું વધારે આપવામાં આવે અને થાંભલા(બેઇઝ) દીઠ રૂપિયા 50,000/- માસિક ભાડું ચુકવવામાં આવે. તથા આ ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો કરવામાં આવે.
ખેડૂતોએ વિરોધનું શસ્ત્ર ઉગામી લીધું છે, વીજ કંપનીઓની મનમાની સામે રજૂઆતો પણ કરી છે. ત્યારે આવનારા સમયમાં જો કાર્યવાહી કે માગ સ્વીકરવામાં નહીં આવે તો રોષની જ્વાળા વધુ ભભૂકી શકે છે.











