![]()
Ahmedabad Emerges as Crime Hotspot: ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કેમ કે, મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં હત્યા, લૂંટ-ધાડ, ચોરી જ નહીં, દુષ્કર્મ, છેડતી, અપહરણના કિસ્સામાં વધારોમાં થયો છે. આ પરથી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે તકિયા-કલામ માત્ર કાગળ પર જ રહ્યુ છે. જે રીતે ગુનાખોરી વકરી છે તે જોતાં ગુનેગારો બેખોફ બન્યા છે તે વાત પ્રસ્થાપિત થઈ છે. આ જોતાં પોલીસ સામે પડકાર ઊભો થયો છે.
લૂંટ, ધાડ અને ચોરીના કેસોમાં વધારો
સલામત ગુજરાતમાં જ અસલામતીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ખુદ રાજ્ય ગૃહ વિભાગે જ સ્વીકાર કર્યો છે કે, અમદાવાદ શહેરમાં ગુનાખોરી વકરી રહી છે. છેલ્લાં બે વર્ષમાં જ અમદાવાદમાં 197 લોકોની હત્યા થઈ છે. વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં હત્યાના કિસ્સા વધ્યા છે. આ ઉપરાંત લૂંટ, ધાડ અને ચોરીના કેસોમાં ય વધારો થયો છે. ચોર લૂંટારાઓને ખાખીનો ડર જ રહ્યો નથી. કારણ કે, અમદાવાદમાં 183 લૂંટના કિસ્સા બન્યાં છે. જ્યારે 71,48 ચોરીના કિસ્સા થયાં છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે
મહિલાઓ અડધી રાતે બિન્ધાસ્ત ફરી શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા કઇંક અલગ છે. રોમિયો બેખોફ બનીને મહિલા-યુવતીઓની છેડતી કરી રહ્યાં છે. અમદાવાદમાં છેડતીના 267 કેસો પોલીસ ચોપડે નોધાયા છે. મહિને 11 મહિલા-યુવતીઓની છેડતીના કિસ્સા બની રહ્યાં છે. આ ઉપરાંત દુષ્કર્મના પણ 565 કેસો નોધાયાં છે. શહેરમાં મહિને 20થી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આ જોતાં અમદાવાદ શહેરમાં મહિલાઓ જાણે અસલામત હોય તેમ લાગી રહ્યુ છે.
અમદાવાદમાં છેડતીના 267 કેસો પોલીસ ચોપડે નોધાયા
બે વર્ષમાં જ અપહરણના 402 કિસ્સા બન્યાં છે. અમદાવાદમાં બે વર્ષમાં 107 લોકોએ આપઘાત કરીને મોતને વ્હાલ કર્યું છે. પોલીસનો દાવો છેકે, કુલ મળીને 62,726 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયાં છે. આ ઉપરાંત 44,288 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે, પોલીસ હજુ સુધી 385 આરોપીઓને પકડી શકી નથી. ટૂંકમાં, અમદાવાદ શહેરમાં જે રીતે હત્યા, લૂંટ, દુષ્કર્મ અને છેડતીના કિસ્સા વધી રહ્યાં છે તે જોતાં અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ બની રહ્યું છે.


















