વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ એનજીઓની મદદથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વસતી ગણતરી કરવાની સાથે સાથે મગરોની વર્તણૂંકનો અભ્યાસ કરવા માટે સર્વે હાથ ધરાયો હતો.
જે બાદ ઉપરોકત પટ્ટામાં ૪૧૭ મગરોનો વસવાટ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.આ વસતી ગણતરીમાં સામેલ અને ઝૂઓલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકરે એક વાતચીતમાં કહ્યું હતું કે, ૨૦૨૫માં ગીર ફાઉન્ડેશનના નેજા હેઠળ કરાયેલી ગણતરીમાં ૪૪૨ મગરોની વસતી હોવાનું જાણવા મળ્યું હતું.જોકે તેમાં તળાવોમાં રહેતા મગરોની પણ ગણતરી કરાઈ હતી.જ્યારે અમે માત્ર શહેરમાં દેણાથી તલસટ સુધીના વિશ્વામિત્રીના ૧૭ કિલોમીટર વિસ્તારમાં જ ગણતરી કરી છે.
ડો.દેવકરનું કહેવું છે કે, વિશ્વામિત્રીમાં મગરો આનંદમાં છે અને ગત વર્ષે નદી ઉંડી કરવાની તેમજ પહોળી કરવાની કામગીરીની મગરોની વર્તણૂંક પર કોઈ અસર દેખાઈ નથી.બાસ્કિંગ પોઈન્ટ પર મગરો સન બાથ લેતા પણ નજરે પડયા છે.કોઈ પણ પ્રાણી તણાવમાં હોય તો તેના પ્રજનન પર અસર દેખાય છે પણ આ સર્વે દરમિયાન અમને પાંચેક જેટલા સ્થળોએ નર મગરોને માદા મગરોને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરતા પણ જોયા છે.ઉલ્લેખનીય છે કે, ૧૦ ટીમો બનાવીને બે દિવસ સુધી સવારે અને રાત્રે એમ બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવી હતી.ડો.દેવકરના કહેવા પ્રમાણે હજી મગરોના વર્તનનો અભ્યાસ કરવા બીજા ડેટાનું એનાલિસિસ અમે કરી રહ્યા છે.
બે થી ત્રણ મીટરની લંબાઈવાળા મગરોની સંખ્યા મહત્વની
વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરોમાં કેટલાક એક મીટર કે તેનાથી ઓછી લંબાઈના, કેટલાક બે થી ત્રણ મીટર લંબાઈના અને કેટલાક ૩ મીટરથી વધારે લંબાઈના છે.આ કેટેગરી પ્રમાણે ગણતરી બાકી છે.જેમાં બે થી ત્રણ મીટરની લંબાઈના મગરોની સંખ્યા મહત્વની છે.કારણકે આ લંબાઈના મગરો પ્રજનન કરતા હોય છે.ત્રણ મીટરથી વધારે લંબાઈ ધરાવતા ૮૦ ટકા મગરો પ્રજનન ક્ષમતા ગુમાવી ચૂકયા હોય છે.
કાચબા અને દોઢ થી બે ફૂટની માછલીઓ પણ દેખાઈ
ડો.દેવકરનું કહેવું છે કે, મગરોના અભ્યાસ દરમિયાન અમને મોટી સંખ્યામાં વિશાળકદના કાચબા બાસ્કિંગ પોઈન્ટ પર દેખાયા છે.તેની સાથે સાથે કેટલીક જગ્યાએ દોઢ થી બે ફૂટના કદની માછલીઓ પણ અમને જોવા મળી છે.આ માછલીઓ કઈ પ્રજાતિની છે અને મગરો તેનો શિકાર કરે છે કે નહીં તે બાબતે અમે ચોક્કસ નથી.
ફતેગંજથી કાલાઘોડા વચ્ચે સૌથી વધુ ૧૧૮ મગરો
૧૭ કિલોમીટરના પટ્ટામાં સૌથી વધારે મગરોની વસતી ફતેગંજથી કાલાઘોડા વચ્ચેના વિસ્તારમાં જોવા મળી છે.અહીંયા ૧૧૮ મગરોનો વસવાટ હોવાનું અનુમાન છે.૨૦૨૫માં અહીંયા ૧૦૩ મગરો નોંધાયા હતા.
નોળિયા અને ઢોંક જેવા પક્ષીઓની હાજરીના કારણે
મગરોની વસતીનું સંતુલન જળવાય તે માટે પણ કુદરતી વ્યવસ્થા
આ સર્વે દરમિયાન એવું પણ જોવા મળ્યું છે કે, મગરોની વસતીનું સંતુલન જળવાય તે માટેની કુદરતી ઈકો સિસ્ટમ પણ વિકસિત થઈ છે.જેમ કે વિશ્વામિત્રીના પટમાં નોળિયા જોવા મળ્યા છે.જે મગરે મૂકેલા ઈંડા ખાય છે.આ સિવાય ઢોંક જેવા પક્ષીઓ પણ મગરના નાના બચ્ચાનો શિકાર કરતા હોય છે.વિશ્વામિત્રી આટલી ગંદી હોવા છતા પણ અહીંયા સજીવ સૃષ્ટિ જોવા મળી રહી છે.વિશ્વામિત્રીમાં ગટરોનું પાણી છોડવાનું અને તેમાં કચરો નાંખવાનું બંધ કરીને નદીની સફાઈ કરવામાં આવે તો અહીંયા પક્ષીઓની સેંકડો પ્રકારની પ્રજાતિઓની સાથે બીજા સરિસૃપ અને શિયાળ જેવા પ્રાણીઓનો વસવાટ શક્ય છે.વિશ્વામિત્રીના કિનારાઓ પર મોટા વૃક્ષો ઉછેરવાની પણ એટલી જ જરુર છે.આ નદીને તંત્રે કોઈ પણ સંજોગોમાં બચાવવી જ રહી.
બે મીટર કે તેનાથી વધારે લાંબા મગરોથી સર્તક રહેવું જરુરી
બે મીટર કે તેનાથી વધારે લાંબા મગરોથી માણસોને સર્તક રહેવાની જરુર હોય છે.આ મગરો પાસે બે મીટરથી ઓછા કદના મગરો કરતા ઘણી વધારે શારીરિક ક્ષમતા હોવાથી તેઓ માણસો પર હુમલો કરતા ખચકાતા નથી.કેટલાક કિસ્સામાં હુમલો કરતા પહેલા મગરો માણસોને જોઈને મોઢુ ખોલીને ચેતવણી પણ આપતા હોય છે.
મનુષ્યોનું અસ્તિત્વ નહીં હોય ત્યારે પણ મગરો જીવતા હશે
નિષ્ણાતોનું કહેવું છે કે, મગરો પોતાનું અસ્તિત્વ ટકાવવામાં માહેર છે.મગરો ડાયનાસોરના યુગથી પૃથ્વી પર છે અને હવે મનુષ્યોના અસ્તિત્વના સાક્ષી બન્યા છે.મનુષ્યોનું અસ્તિત્વ આ દુનિયામાંથી ખતમ થઈ જશે ત્યારે પણ મગરો જીવતા હશે.















