![]()
શહેરમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી જતા આજે એક્યુ આઈ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ૨૪૫ સુધી પહોંચ્યો છે, જેના કારણે શહેર જોખમી શ્રેણીના ઓરેન્જ ઝોનમાં દાખલ થયું છે, જે નાગરિકો માટે હાનિકારક બની શકે છે. ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમી સાબિત થઈશકે છે.
તાજેતરમાં વડોદરા શહેરમાં પ્રથમ ૨૪ કલાક કાર્યક્ત રહે તેવું એમ્બિયન્ટ એર કવોલિટી મોનીટરીંગ સ્ટેશન કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે શરુ કરાયું છે. દરરોજ બપોરે ૪ કલાકે એક્યુઆઈબુલેટીન જાહેર કરાય છે. આજે બુલેટીનમાં એક્યુઆઈ-૨૩૭ નોંધાયો હતો, પરંતુ રાત્રે ૭વાગ્યે આંક ૨૪૫એ પહોંચ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં સવારે અને સાંજે ધુમ્મસ જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. ટ્રાફિકનો વધતો ભાર, બાંધકામ સાઈટ પરથી ઉડતી ધૂળ તેમજ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું પ્રદૂષણ હવાના ગુણાંકમાં બગાડ લાવી રહ્યા છે.
આ દરમિયાન વડોદરા મ્યુનિ. કોર્પોરશનદ્વારા શહેરના મંગળ બજાર, સુભાનપુરા, છાણી સહિતના વિસ્તારોમાં સ્થાપિત એક્યુઆઈ માપવાની મશીનો છેલ્લા એક અઠવાડિયાથી મેન્ટેનન્સ માટે બંધ હોવાનું સામે આવ્યું છે. આ અંગે મ્યુનિ. અધિકારીએ જણાવ્યું હતું કે, એક્યુઆઈ સિસ્ટમના સેન્સર, ડિવાઈસ અને એર ફિલ્ટર સહિતની કામગીરી માટે રૂટીન કેલિબ્રેશન કરાવવા સિસ્ટમ હૈદરાબાદ મોકલવામાં આવી છે.
વડોદરાવાસીઓ આશા રાખી રહ્યા છે કે, મ્યુનિ. કોર્પોરેશન અને જીપીસીબી પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક અને દૃઢ પગલાં ભરે. પર્યાવરણવિદોના મતે, જો સમયસર નિયંત્રણાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
અત્રે યાદ અપાવવું જરુરી છે કે, એક જ સ્ટેશનનો ડેટા આખા શહેરનું પ્રતિબિંબ નથી બનતો. તેથી મોટા શહેરોમાં સામાન્ય રીતે મલ્ટી-લોકેશન મોનિટરિંગ નેટવર્ક બનાવવામાં આવે છે.















