Supreme Court Questions Vanuatu’s Existence: સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક જામીન અરજીની સુનાવણીમાં એક આરોપી દ્વારા કરાયેલા દાવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ આરોપી વાનુઆતુનો નાગરિક છે, એ જાણીને બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ‘એવો કોઈ દેશ નથી.’ તેમણે વાનુઆતુની સરખામણી કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી હતી. આ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ કે શું ખરેખર વાનુઆતુ નામનો કોઈ દેશ આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે ખરો? તો ચાલો, આ અજાણ્યા દેશની વાત કરીએ.
કોણ છે આરોપી અને શું છે કેસ?
આ કેસ છેતરપિંડી સંબંધિત છે, જેમાં આરોપી સામે ભારતીય દંડ સંહિતા હેઠળ ‘છેતરપિંડી’(કલમ 420), ‘છેતરપિંડી માટે બનાવટી દસ્તાવેજ’(કલમ 468) અને ‘વિશ્વાસઘાત’(કલમ 406) જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. આરોપી લગભગ 15 મહિનાથી કસ્ટડીમાં છે. તેણે જામીન માટે કોલકાતા હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેને નકારવામાં આવતા હાઇકોર્ટના આદેશને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
જજ તો ઠીક, આરોપીના વકીલ પણ વાનુઆતુ બાબતે અજાણ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે સુનાવણી દરમિયાન આરોપીના વકીલને પૂછ્યું હતું કે, તમારા ક્લાયન્ટ કયા દેશના છે. ત્યારે વકીલે જવાબ આપ્યો હતો કે, તેઓ વાનુઆતુના નાગરિક છે. ન્યાયાધીશોએ વકીલને પૂછ્યું હતું કે, શું તમે ક્યારેય ત્યાં ગયા છો? એનો જવાબ નકારાત્મક મળતાં બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ‘એવો કોઈ દેશ નથી.’ તેમણે વાનુઆતુની સરખામણી કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી.
આરોપીના વકીલે કહ્યું કે, કદાચ વાનુઆતુ કેરેબિયન ટાપુ સમૂહનો દેશ છે, પણ એમની વાત કાને નહોતી ધરાઈ અને આરોપીની જામીન અરજી રદ કરી દેવાઈ.
શું ખરેખર વાનુઆતુ નામનો કોઈ દેશ નથી?
છે, વાનુઆતુ નામનો દેશ છે! આ ટાપુ દેશ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો છે અને માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર દેશ છે.
પૃથ્વી પર વાનુઆતુનું સ્થાન
વાનુઆતુ લગભગ 80થી વધુ ટાપુઓનો Y આકારની શ્રેણી ધરાવતો ટાપુ સમૂહ છે. તે ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં અને ફિજી ટાપુની પશ્ચિમમાં સ્થિત છે. વાનુઆતુ મેલાનેશિયા પ્રદેશનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાય છે. ‘મેલાનેશિયા’ દક્ષિણ પેસિફિક મહાસાગરનો એક ભૌગોલિક અને સાંસ્કૃતિક પ્રદેશ છે, જેમાં મુખ્યત્વે કાળા વર્ણના મૂળનિવાસી લોકો વસે છે. ‘Melanesia’ શબ્દ ગ્રીક ભાષાના શબ્દો melas(કાળો) અને nesoi(ટાપુઓ) પરથી આવ્યો છે, એટલે એનો અર્થ થાય છે ‘કાળા લોકોના ટાપુઓ’.
વાનુઆતુની સ્વતંત્રતા અને રાજકીય ઓળખ
1980માં બ્રિટન અને ફ્રાંસના સંયુક્ત શાસનમાંથી સ્વતંત્ર થયેલો વાનુઆતુ હવે ‘સંયુક્ત રાષ્ટ્ર’(UN) તથા ‘કોમનવેલ્થ દેશો’નો સભ્ય દેશ છે. સ્વતંત્રતા મેળવ્યા પહેલા તેનું નામ ‘ન્યૂ હેબ્રિડ્સ’ હતું.
આ પણ વાંચો: બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ
વસ્તી, ભાષા અને સમાજ
– વસ્તી: અંદાજે 3,30,000
– રાજધાની: પોર્ટ વિલા
– ભાષા: વાનુઆતુમાં 113 ભાષા-બોલીઓ બોલાય છે, પણ સત્તાવાર ભાષા ત્રણ છે – બિસ્લામા, અંગ્રેજી અને ફ્રેન્ચ.
– વાનુઆતુના મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને ખેતી કરીને જીવન જીવે છે.
અફાટ કુદરતી સૌંદર્યને લીધે પ્રવાસનનો વિકાસ
વાનુઆતુ તેની કુદરતી વૈવિધ્યતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. અહીં સક્રિય જ્વાળામુખીઓ પણ છે અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ છે. સ્વચ્છ સમુદ્ર અને કોરલ રીફની હાજરીને લીધે આ દેશ પ્રવાસશોખીનોમાં ડાઇવિંગ અને એડવેન્ચર ટુરિઝમ માટે વિખ્યાત છે. વાનુઆતુના અર્થતંત્રમાં પર્યટન અંદાજે 40% ફાળો આપે છે. મુખ્ય પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના હોય છે.
વાનુઆતુ કુદરતી જોખમોથી ઘેરાયેલું છે
વાનુઆતુ ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે. ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ એ પેસિફિક મહાસાગરમાં આવેલો વિશાળ પટ્ટો છે. અહીં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજાની નીચે સરકે છે, જેના કારણે વારંવાર ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને સુનામી સર્જાય છે. તેથી વાનુઆતુમાં પણ ભૂકંપ, જ્વાળામુખી અને ચક્રવાતોનું જોખમ કાયમ તોળાયેલું રહે છે.
રોકાણ કરો અને નાગરિકતા મેળવો!
વાનુઆતુમાં Citizenship by Investment Programની સુવિધા છે. આ યોજના હેઠળ તમે રોકાણ કરીને વાનુઆતુની નાગરિકતા મેળવી શકો છો. 2025માં ભારતીય ઉદ્યોગપતિ લલિત મોદીએ વાનુઆતુની નાગરિકતા મેળવી હોવાની વાત ચર્ચાસ્પદ બની હતી. જોકે, ત્યારબાદમાં વાનુઆતુ સરકારે તેમનો પાસપોર્ટ રદ કરી દીધો હતો.
વાનુઆતુની આંતરરાષ્ટ્રીય ભાગીદારી
ઓછી વસ્તી હોવા છતાં વાનુઆતુ ઓલિમ્પિક રમતોમાં ભાગ લે છે અને એથ્લેટિક્સ, જુડો, બોક્સિંગ જેવી રમતોમાં તેમનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે.
વાનુઆતુની સરખામણી કૈલાસા સાથે કેમ કરાઈ?
સુપ્રીમ કોર્ટે વાનુઆતુ જેવો કોઈ દેશ નથી, એમ સમજીને એની સરખામણી કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી હતી. શા માટે, એ જાણવા કૈલાસાની કહાની જાણીએ.
ભાગેડુ ધર્મગુરુનો ખયાલી દેશ
તમિલનાડુમાં જન્મેલા રાજશેખરને પોતાને ભારતીય ધર્મગુરુ ‘નિત્યાનંદ’ તરીકે રજૂ કરીને ‘નિત્યાનંદ ધ્યાના પીઠમ’ નામની સંસ્થા દ્વારા વિશ્વભરમાં અનુયાયીઓ બનાવ્યા હતા. તેમની સામે ભારતમાં અપહરણ, યૌન શોષણ, માનવ તસ્કરી અને આર્થિક ગેરરીતિ સહિતના ગંભીર આરોપો બાદ તેઓ 2019માં દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ નામનું સ્વ-ઘોષિત હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાનો દાવો કર્યો હતો. કૈલાસાનો અલગ પાસપોર્ટ, અલગ ચલણ અને આગવી સરકાર હોવાનો દાવો તેમણે કર્યો હતો, પરંતુ કોઈ દેશે તેને સત્તાવાર માન્યતા આપી નથી. નિત્યાનંદે તો ત્યાં સુધી કહી દીધેલું કે, સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં કૈલાસાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જો કે, યુએનએ તેના નિવેદનોને માન્યતા આપી નહોતી.
આ પણ વાંચો: મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૈલાસાના મૂળિયાં રોપવા માટે કરાયેલા પ્રયાસો
‘કૈલાસા’ની જાહેરાત તો થઈ ગઈ, પણ એનું ‘ઠેકાણું’ નહોતું. દેશ કાગળ પર તો સ્થાપી ન શકાય, નાની તો નાની, પણ જમીન તો જોઈએ-ને? એટલે એ માટે નિત્યાનંદ અને તેના પ્રતિનિધિઓએ અલગ-અલગ દેશોમાં જમીન મેળવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા.
– ઇક્વાડોર: આ દક્ષિણ અમેરિકી દેશમાં જમીન ખરીદવા અથવા લાંબા ગાળા માટે ભાડે લેવાના ખૂબ પ્રયાસ થયા હતા, પરંતુ ઇક્વાડોર સરકારે તેની મંજૂરી નહોતી આપી.
– પેરાગ્વે: નિત્યાનંદે પેરાગ્વેમાં પણ ધાર્મિક વસાહત સ્થાપવા માટેની કોશિશ કરી જોઈ હતી. ત્યાં પણ સરકારે તેમને દાદ ન આપી.
– બોલિવિયા: 2024 માં કૈલાસા માટે બોલિવિયામાં 1,000 વર્ષ માટે જમીન ભાડે લઈ લેવાઈ હોવાના દાવા કરાયા હતા, પરંતુ મામલો જાહેર થતાં બોલિવિયન સરકારે સ્પષ્ટ કર્યું કે તેમણે કૈલાસા નામના કોઈ દેશને માન્યતા નથી આપી. સરકારે તપાસ શરૂ કરાવી અને કૈલાસા સાથે જોડાયેલા 20 વિદેશીઓને બોલિવિયામાંથી તગેડી મૂક્યા.
– અમેરિકાઃ અમેરિકાના નેવાર્ક શહેરમાં નિત્યાનંદે સાંસ્કૃતિક સહયોગ બાબતે કરાર કરવામાં સફળતા મેળવી, પરંતુ કૈલાસા કોઈ માન્ય દેશ નથી એ જાણ્યા બાદ સ્થાનિક સત્તાવાળાએ એ કરાર રદ કરી દીધો.
હાલમાં, નિત્યાનંદ અને તેના કાલ્પનિક દેશની હાલત ‘ન ઘરના, ન ઘાટના’ જેવી છે. નિત્યાનંદ અત્યારે ક્યાં છે, એ વિશે માહિતી નથી.
















