Gallery Collapses In Sukhramnagar: અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 20થી 25 લોકો ફસાયા હોવાનું જણાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી
મળતી માહિતી મુજબ, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગેલેરી તૂટી પડતાં ઘરમાં લોકો ફસાયા હતા.

20થી 25 લોકો ફસાયા
ગોમતીપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરમાં ફસાયેલા 20થી 25 વધુ લોકોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાને પગલે એસ્ટેટ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જણાય છે.
જર્જરિત ક્વાર્ટર્સ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે આ પહેલા અગાઉ પણ ગેલેરી પડી હોવાનું જણાય છે.
આ પણ વાંચો: ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે?
ફાયર ઑફિસરે શું કહ્યું?
ઘટનાને લઈને ડિવિઝનલ ફાયર ઑફિસર આર. જી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની જાણકારી મળતાની સાથે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ગેલેરી ધરાશાયી થતાં નીચે ઉતરવાનો રસ્તો ન રહેતા ઘરમાં ફસાયેલા 39 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

















