Chandkheda Child Death Case: અમદાવાદના ચાંદખેડામાં ગત અઠવાડિયે ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયા હોવા અંગે આજે(13 એપ્રિલ, 2026) મૃતક બાળકીઓની માતાની પોલીસ સ્ટેશને DCP સહિતના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધી મૃતક દીકરીના પિતા વિમલ, પત્ની અને દાદા-દાદીની પૂછપરછ કરી છે. જેમાં કોઈના સ્ટેટમેન્ટમાં કોઈ વિસંગતા જોવા મળી નથી. જેને લીધે હવે પોલીસ FSLમાં મોકલેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બંને બાળકીઓના વિશેરાના રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે.
DCPએ શું કહ્યું?
મહત્ત્વનું છે કે આ કેસ અંગે ઝોન 2ના DCPએ જણાવ્યું હતું કે, ‘રિપોર્ટમાં ઝીંક અને એલ્યુમિનિયમની હાજરી મળી છે. પરંતુ તે એન્ટીસીડ્સ જેવી દવાઓને કારણે પણ હોઈ શકે છે, જેની સ્પષ્ટતા માટે અમે મેડિકલ એક્સપર્ટના અભિપ્રાયની રાહ જોઈ રહ્યા છીએ. હવે આ કેસમાં વિસેરા રિપોર્ટ જ સૌથી મહત્ત્વનું નિર્ણાયક પરિબળ સાબિત થશે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અત્યારે પરિસ્થિતિ એવી છે કે FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવ્યા નથી, તેથી હું સત્તાવાર રીતે કઈ કહી શકું તેમ નથી. હા, એ હકીકત છે કે રિપોર્ટમાં ઝીંક અને એલ્યુમિનિયમની હાજરી જોવા મળી છે. પરંતુ આ તત્ત્વોની હાજરીનો અર્થ સીધો ઝેર જ છે એવું અત્યારે કહી શકાય નહીં, કારણ કે તેની મર્યાદાઓ અને અસરો સમજવા માટે અમારે એક્સપર્ટના અભિપ્રાયની જરૂર છે. કેટલીકવાર દવાઓની અસરને કારણે પણ શરીરમાં આવા તત્વો જોવા મળી શકે છે.’
પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે તપાસ
સમગ્ર કેસની તપાસ અંગે DCPએ વધુમાં જણાવ્યું કે, ‘અમારી તપાસ અત્યારે મુખ્યત્ત્વે ત્રણ થીયરી પર ચાલી રહી છે. જેમાં એક આ કોઈએ કરેલું કૃત્ય હોઈ શકે (માતા, પિતા કે દાદા-દાદી), કારણ કે બાળકીઓનું પજેશન આ ઘર સિવાય બીજા કોઈ પાસે નહોતું. બીજું આ ફૂડ પોઈઝનિંગનો મામલો હોઈ શકે. ત્રીજું આ નેચરલ કોઝ (કુદરતી કારણો) હોઈ શકે, જેમાં બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેની બોડી રિએક્ટ ન કરી શકી હોય.’
પોલીસે કેસને લઈને ખાવા-પીવાની વિગતો પણ તપાસી છે. ચાર દિવસમાં કુલ 12 મીલમાંથી માત્ર બે વાર ખીરાનો ઉપયોગ થયો હતો, બાકીના સમયે કોબીજનું શાક, ડ્રાયફ્રુટ જ્યુસ અને ઘેવર જેવું ભોજન લેવાયું હતું. માતાએ પોતે ખીરું બનાવ્યું હતું જે કડવું લાગતા પછી બહારથી લાવવામાં આવ્યું હતું. વિમલ અને તેની પત્નીના નિવેદનોમાં અત્યાર સુધી કોઈ મોટી વિસંગતતા જણાઈ નથી.
આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે!
બાળકીના જન્મ સમયના રેકોર્ડ મુજબ તે 3.1 કિલો વજન ધરાવતી સ્વસ્થ બાળકી હતી. પોલીસ જે ડૉક્ટરોએ સારવાર કરી છે તેમની સાથે અને સિવિલ હોસ્પિટલના ઓપિનિયન લેવાની પ્રક્રિયા કરી રહી છે. અત્યારે બધું જ તપાસ હેઠળ છે. જ્યાં સુધી વિસેરા રિપોર્ટ અને અન્ય ટેકનિકલ રિપોર્ટ્સ ન આવે, ત્યાં સુધી કોઈ પણ ચોક્કસ દિશા નક્કી કરવી ઉતાવળ ગણાશે.















