![]()
Gujarat Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત બાદ તમામ પક્ષોએ ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. તેવામાં કોંગ્રેસે છેલ્લી ઘડીએ અમદાવાદ મનપામાં ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 17માં શાહપુર બેઠક પર સામાન્ય સ્ત્રી અનામતમાં કોંગ્રેસે પીઢ કાર્યકર્તાના પત્ની જે અમદાવાદ પૂર્વમાં ભરાતી ગુજરી બજારમાં ફેરિયા (સ્ટ્રીટ વેન્ડર)નું કામ કરે છે તેમણે ચૂંટણીમાં ઉતારી સૌ કોઈને ચોંકાવી દીધા છે.
ગુજરી બજારમાં રમકડાં વેચી ચલાવે છે ગુજરાન
આશાબેન દંતાણી છેલ્લા 25થી વધુ વર્ષથી ગુજરી બજારમાં બેસે છે ત્યાં રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસે શાહપુર વોર્ડ નંબર 17માં ગરીબ પરિવારને ટિકિટ આપતા હવે ભાજપ અને આપ પાર્ટી ચૂંટણી જીતવી કઠિન સાબિત થઈ શકે છે. આશાબેને મતદાન પહેલા દાવો કર્યો છે કે કોર્પોરેટર બન્યા બાદ પણ તેઓ ગુજરી બજારમાં રમકડાં વેચવાનું ચાલુ રાખશે તેમજ ગરીબ લોકોના કામ કરશે.
કોંગ્રેસના વફાદાર કાર્યકરોને ટિકિટ અપાવી: પૂર્વ ધારાસભ્ય
ટિકિટ બાબતે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદદીન શેખે કહ્યું કે, ‘આશાબેન દંતાણી શંકર ભુવનમાં રહે છે અને મારા કાર્યકર્તા ગોપાલભાઈ દંતાણીના વાઈફ છે અને સ્ટ્રીટ વેન્ડર છે. પરંતુ 25 વર્ષથી વફાદારી સાથે કોંગ્રેસમાં ગોપાલભાઈ જોડાયેલા હતા ત્યારે જ્યારે આ વખતે બહુ સરસ વાતાવરણ છે અને કોંગ્રેસ દરિયાપુરની 4 સીટ, કાલુપુર-ખાડિયાની અને શાહપુરની જ્યારે જીતવાની છે, એવા સમયની અંદર મેં જે 2022માં જ્યારે હું ચૂંટણી હાર્યો પરંતુ વફાદારીના કારણે જે મારી સાથે રહ્યા એમને મેં પ્રાયોરિટી આપી છે અને એની અંદર જ મેં આશાબેન દંતાણીને ટિકિટ આપી છે.’
‘બારે-બાર સીટ કોંગ્રેસ પક્ષ જીતશે’
‘આ વખતે જે SIR થઈ છે અને જે જનસમર્થન છે મારી વિધાનસભાની બારે-બાર સીટ કોંગ્રેસ પક્ષ બહુમતી સાથે જીતવાની છે. ચૂંટણીનું વાતાવરણ અને દ્રશ્યો જુઓ છો, રોજ રેલીઓ, રોજ અમારા લોકસંપર્ક રાઉન્ડ, હજારો લોકો એમાં જ્યારે અમે લોકસંપર્ક જાહેરમાં કર્યો એમાં હજારો લોકો જોડાયા છે’
આ પણ વાંચો: જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી
બીજી તરફ ગ્યાસુદદીન શેખે કોંગ્રેસની વિરુદ્ધ ચૂંટણી પંચની SIR કામગીરીના ભરપેટ વખાણ કર્યા છે અને કહ્યું છે કે 60 હજાર ખોટા મતદારોના નામ કમી થયા છે જેનો સીધો ફાયદો કોંગ્રેસ પક્ષને થશે.















