Rohit Pawar Allegations Ajit Pawar Death: મહારાષ્ટ્રના નેતા અજિત પવારના પ્લેન અકસ્માતે હવે નવો વળાંક લીધો છે. તેમના ભત્રીજા રોહિત પવારે દિલ્હી પ્રેસ ક્લબમાં એક પ્રેઝન્ટેશન રજૂ કરીને દાવો કર્યો છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. રોહિત પવારે પાયલટના છેલ્લા શબ્દો, પાયલટના ફેરફાર અને ગાયબ દસ્તાવેજો પર અનેક સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.
પાયલટના છેલ્લા શબ્દો અને શંકાસ્પદ ફેરફાર
રોહિત પવારે કોકપિટ વોઈસ રેકોર્ડિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે પાયલટના છેલ્લા શબ્દો ‘Oh Sh**’ હતા, જે કોઈ મોટી ગરબડ તરફ ઈશારો કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે છેલ્લી ઘડીએ મુખ્ય પાયલટ સાહિલ મદાનને બદલીને સુમિત કપૂરને કેમ લાવવામાં આવ્યા? સુમિત કપૂર ભૂતકાળમાં દારૂના સેવનના મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. રોહિતે આક્ષેપ કર્યો કે અકસ્માતની બરાબર એક મિનિટ પહેલા પ્લેનનું ટ્રાન્સપોન્ડર કે જે સુરક્ષા અને ટ્રેકિંગ માટે વપરાય છે, તે બંધ કરી દેવામાં આવ્યું હતું, જે અત્યંત શંકાસ્પદ છે.
ટેકનિકલ ખામી કે જાણીજોઈને કરેલી છેડછાડ?
પ્રેઝન્ટેશનમાં રોહિત પવારે વિમાનના ‘ટેક લોગ'(Tech Log) અને દૈનિક સુરક્ષા તપાસના દસ્તાવેજો ગાયબ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તેમણે પૂછ્યું કે પ્લેનના ઉડાન પહેલા છેલ્લી સહી કોની હતી અને હંગરના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં આવતા નથી?
આ ઉપરાંત રોહિત પવારે એવી પણ શંકા વ્યક્ત કરી કે શું વિમાનમાં ગેરકાયદેસર રીતે વધારાની ફ્યુઅલ ટેન્ક રાખવામાં આવી હતી, જે બોમ્બની જેમ કામ કરી શકે?
રનવેની પસંદગી અને પ્લાનમાં અચાનક બદલાવ
રોહિત પવારના જણાવ્યા મુજબ, અજિત પવાર પહેલા રોડ માર્ગે બારામતી જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્લેન દ્વારા જવાનો નિર્ણય કેમ લેવાયો? પ્લેનની બુકિંગ મોડી રાત્રે કેમ કરવામાં આવી? વધુમાં, પાયલટે સરળ ગણાતા રનવે 29ના બદલે પડકારજનક ટેબલટોપ રનવે 11 પર લેન્ડિંગ કરવાનો આગ્રહ કેમ રાખ્યો, તે પણ એક રહસ્ય છે. વિઝિબિલિટી બરાબર હોવા છતાં આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે રોહિતે VSR કંપનીના મેન્ટેનન્સ રેકોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

















