![]()
અમદાવાદ,બુધવાર
અસલાલીમાં આવેલા એક ગોડાઉનમાંથી તસ્કરોએ રૂપિયા ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી કરી હોવાની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઇસનપુરમાં આવેલા સમ્રાટનગરમાં રહેતા મહાવીરભાઇ જૈને ફરિયાદ નોંધાવી છે કે તે પાનમસાલા બનાવતી ધર્મપાલ સત્યપાલ કંપનીમાં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનું ગોડાઉન અસલાલીમાં આવેલું છે. જેમાં ગુટખા, પાન મસાલાનો સ્ટોક મુકવામાં આવે છે.
પાંચ તારીખે સવારે સાડા છ વાગે સિક્યોરીટી ગાર્ડને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે શટર તુટેલું છે. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગોડાઉનમાંથી અંદાજે ૪૪ લાખની કિંમતના પાન મસાલાનો જથ્થો ચોરી થયો હતો. સીસીટીવી તપાસતા કેટલાંક લોકો પીકઅપ વાનમાં ચોરી કરીને જતા જોવા મળ્યા હતા. આ અંગે અસલાલી પોલીસે તપાસ શરૂ કરી છે.















