![]()
Vadodara : ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠનોના પ્રમુખની આગેવાની હેઠળ આંગણવાડી બહેનો-ભાઈઓએ નવી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ તેમના વર્ષોથી પડતર પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન આંગણવાડી કર્મચારીઓએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી ચીટનીશને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે રાજ્યના બજેટમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો આંગણવાડીના ભાઈઓ-બહેનો દ્વારા આગામી તા.12, ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાની તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ મળતું માનદ વેતન મોંઘવારીના સમયગાળામાં વેતન અપૂરતું હોવાનું જણાવી કર્મચારીઓએ નિયમિત પગાર, પેન્શનની સુવિધા અને સામાજિક સુરક્ષા આપવાની માગ કરી હતી. સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં આંગણવાડી કર્મીઓ પર સતત વધતું કામનું ભારણ ઘટાડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પોષણ, આરોગ્ય, સર્વે, ચૂંટણી, ડિજિટલ રિપોર્ટિંગ સહિતના વધારાના કામથી આંગણવાડી કર્મચારીઓ પર માનસિક અને શારીરિક દબાણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ મકરાણીએ જણાવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓ બાળપણના પોષણ અને મહિલા આરોગ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, છતાં તેમની સાથે સતત વાયુઓરમાયુ વર્તન અને અવગણના કરવામાં આવી રહી છે. જો સરકાર આગામી બજેટમાં વેતન વધારો, કામ ઘટાડો અને કાયમી દરજ્જા અંગે સકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી 12, ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.
આ હડતાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ જોડાશે તેવી ચીમકી આપવામાં આવી હતી. અંતમાં કલેક્ટર મારફતે સરકારને લેખિત રજૂઆત કરવા આપીને આંદોલનને વધુ તેજ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
















