![]()
ક. 163 (144) લાગુ : આજી નદીમાં 55,000 ચો.મી.જમીન પરથી 992, રોડ ઉપરથી 497 મકાનો 3 દિવસમાં તોડાશે : કાંકરીચાળો કરનારની ધરપકડના ઉચ્ચસ્તરેથી આદેશો: 225 એ મકાનો ખાલી કરીને સ્થળાંતર શ: કર્યું: સોમવારે મનપા-પોલીસનો 3600નો સ્ટાફ ત્રાટકશે
રાજકોટ, : રાજકોટના જંગલેશ્વર,આજી નદીના દાયકાઓ જુના સરકારી-મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનોનું શહેરના ઈતિહાસમાં સૌથી મોટુ તા. 23-02-2026 ને સોમવારે ડિમોલીશન કરવા મહાપાલિકાએ આજે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.આ સંવેદનશીલ વિસ્તારને ધ્યાને લઈને પોલીસે જડબેસલાખ સુરક્ષા ચક્ર ગોઠવ્યું છે. આવતીકાલ રવિવાર જંગલેશ્વરમાં નદી અને રસ્તાની જમીન પર વસતા આ પરિવારો માટે મકાનોનો સમાન લેવા, જાતે ડિમોલીશન કરવા છેલ્લો દિવસ રહેશે. લોકોના સતત વિરોધ અને માથાકૂટના પગલે પોલીસે તથા બી.એન.એસ.એસ.ની ક.163 (જુની સીઆરપીસીની 144મી કલમ) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આખા રાજકોટને તા.23થી તા. 25ના રાત્રિના 12 વાગ્યા સુધી નો-ફ્લાય ઝોન વિસ્તાર જાહેર કરી શહેરમાં ડ્રોન વગેરે ઉડાડવા પર તેમજ તા.26-2-26ના રાત્રિના 12 સુધી 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર આજે જાહેરનામાથી પ્રતિબંધ મુક્યો છે.
મહાપાલિકાના 1130થી વધુ કર્મચારીઓ જે.સી.બી.,હિટાચી, બ્રેકર, ગેસ ગટર, ડમ્પર, ટ્રેક્ટર વગેરે 260 વધુ વાહનો સાથે સોમવારે સવારે 8 વાગ્યાથી ડિમોલીશનની કામગીરી શરૂ કરશે જે ત્રણ દિવસ ચાલે તેવો અંદાજ છે.આ કામગીરી માટે મનપાએ તાકીદે ખાસ એપ્રન અને હેલમેટ ખરીદી કર્મચારીઓને પૂરા પાડયા છે. ગત ત્રણ દિવસથી મનપાની ટીમો જંગલેશ્વરમાં તૈનાત થઈ છે.
આજ મોડી સાંજ સુધીમાં 225 મકાનો લોકોએ ખાલી કરીને સ્વૈચ્છિક દબાણ હટાવ્યું હતું. સોમવારથી અદ્યતન સુરક્ષા સાધનો સાથે 2500 પોલીસ જવાનો સાથે મનપા ડિમોલીશન કરશે ત્યારે સામાનને નુક્શાન વગેરેની જવાબદારી લોકોની રહેશે તેવું જાહેર કરાયું છે. ઉચ્ચકક્ષાએથી પોલીસને કોઈ પણ ડિમોલીશન અટકાવવા કાંકરીચાળો કરે કે ટોળા ભેગા થાય તો તુરંત ધરપકડ કરવાના આદેશો જારી કરાયા છે. આજે પોલીસે વ:ણ સહિતના વાહનો તૈનાત કરી ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
મનપા સૂત્રો અનુસાર આજી નદીના પટની 55,000 ચોરસમીટર જમીન પરથી 992 મકાનો,બાંધકામો તથા 15મીટરના ટી.પી.રોડ ઉપરની 32,000 ચો.મી.જમીન પરથી 497 બાંધકામો તોડી પાડીને 87,000 ચો.મી.જમીન ખુલ્લી કરાશે. અગાઉ આજી નદી પટમાં તે વખતે પણ વર્ષોથી વસેલા શખ્સોને મનપાએ વૈકલ્પિક આવાસો આપ્યા છે અને હાલ આ આવાસોમાં અસરગ્રસ્તો રહે છે તેના વિડીયો જારી કરીને હવે આ ડિમોલીશન અન્વયે કોઈ વૈકલ્પિક જગ્યા નહીં આપવાનો નિર્ણય જાહેર કરાયો છે.
આ પહેલા આ જ વિસ્તારમાં મામલતદાર દ્વારા પણ 1.05 લાખ ચો.મી. સરકારી જમીન પર 1400થી વધુ મકાનોને તોડી પાડવા નોટિસો આપી કાર્યવાહી કરાઈ હતી જે કાર્યવાહી હાઈકોર્ટે સ્ટે આપતા હાલ નહીં થાય. આમ, હાલ માત્ર નદીકાંઠા અને રોડ પરના મકાનો હટાવાશે જેનું આજે સંપૂર્ણ માર્કિંગ કરી લેવાયું હતું. આ વિસ્તારમાં આ ઉપરાંત ખાનગી પ્લોટમાં પણ દબાણો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો આ સૌથી મોટો અને ત્યાં કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃતિના કારણે સંવેદનશીલ સ્લમ એરિયા રહ્યો છે, કેટલાકે ઓરડી-મકાનો ખડકીને ભાડે આપ્યા છે, શેરીઓ એટલી સાંકડી કે કોઈ દુર્ઘટના વખતે બચાવકાર્ય ન થઈ શકે અને ચોમાસા વખતે આ વિસ્તારમાં સલામત સ્થળે ખસી જવા ફાયરબ્રિગેડે તૈનાત થવું પડયું છે. આ વિસ્તારમાં શ્રમજીવીઓ વસતા રહ્યા છે અને મહિલાઓએ બાળકો સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. કેટલાકે ડિમોલીશન સ્વીકારી ઘર ખાલી કરવા મંડયા તો કેટલાક આંસુઓ અને આક્રોશ સાથે હજુ પણ વિરોધ કરી રહ્યા છે.
















