Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીની ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં આવેલી એક ડેકોરેટર્સની દુકાનમાં અસામાજિક તત્ત્વો દ્વારા ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી. આ લુખ્ખા તત્ત્વની સમગ્ર કરતૂત દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના અંગે દુકાનમાં કામ કરતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.
તારા શેઠ કયા છે તેમ કહીને ગાળો આપી!
આ ઘટના અંગે વસ્ત્રાલમાં રહેતા અને દુકાનમાં કામ કરતા 28 વર્ષીય નાથાભાઈ તાવીયાડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યા દુકાનમાં બેઠા હતા ત્યારે, કાળા કલરની ફોર વ્હીલમાં આવેલો એક શખસ નીચે હાથમાં લાકડાનો દંડો લઈને નીચે ઉતર્યો હતો. અને દુકાનમાં આવીને તારા શેઠ કયા છે તેમ કહીને ગાળો આપી હતી. જે બાદ ગાળો બોલવાની ના પાડતા તેણે દુકાનમાં કાચ ફોડી નાખ્યા હતા.
|
||
જાનથી મારી નાખવાની ધમકી આપી
આ પછી દુકાનમાં હાજર વ્યક્તિએ શેઠ અહીંયા નથી તેમ કહેતા ગુંડાતત્ત્વોે કહ્યું કે આજે તો તને અને તારા શેઠને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ પછી દુકાનમાં હાજર વ્યક્તિ ત્યાંથી બહાર નીકળી ગયો હતો અને તેના શેઠના દીકરાને ફોન કરીને જાણ કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ગુજરાત સહિત 9 રાજ્યોની SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’
મહત્ત્વનું છે કે, આરોપીએ છેલ્લા 10 વર્ષમાં અનેક વખત તોડફોડ કરી હોવાનો આક્ષેપ છે. આ સાથે જ આરોપીએ અગાઉ પણ 3 થી 4 વખત તોડફોડ અને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કડક હાથે કામ લઈ લુખ્ખાતત્ત્વોને શબક શીખવાડે તેવી પીડિતો અને સ્થાનિકો માગ કરી રહ્યા છે.


















