![]()
વડોદરાઃ રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ નવા શૈક્ષણિક વર્ષમાં ધો.૧માં પ્રવેશ માટે તા.૪ એપ્રિલથી ફોર્મ ભરી શકાશે.વડોદરાની સ્કૂલોમાં આ વર્ષે ૪૪૦૦ બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે ૩૩૮ સ્કૂલોમાં ૪૭૬૨ બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ અપાયો હતો અને આ વર્ષે ૩૪૦ સ્કૂલોમાં ૪૪૦૦ બેઠકો ધો.૧ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.આમ ગત વર્ષ કરતા આરટીઈ હેઠળ પ્રવેશ માટે ૩૬૨ બેઠકો ઘટી છે.
કેટલીક સ્કૂલો એવી છે જે બે પાળીમાં ચાલે છે.અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સવારની પાળીમાં કે બપોરની પાળીમાં પ્રવેશ આપવો તે સ્કૂલો નક્કી કરતી હતી.જોકે હવે સરકારે પ્રવેશ ફોર્મમાં વાલીઓને જ સવારની પાળી અથવા બપોરની પાળી પસંદ કરવાનો વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે.આમ આ બાબતે સ્કૂલો મનમાની નહીં કરી શકે.વડોદરામાં ૧૦ સ્કૂલો એવી છે જે બપોર અને સવારની પાળીમાં ચાલે છે.આ વર્ષથી વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકાય તે માટે હેલ્પ લાઈન પણ શરુ કરવામાં આવી છે.વાલીઓ ડીઈઓ કચેરીમાં ૦૨૬૫-૨૪૬૧૭૦૩ નંબર પર જાણકારી મેળવી શકશે.















