Amreli Petrol Pump Rush: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો ભારત પર પડશે અને ઈંધણની તંગી સર્જાશે તેવી એક અફવાએ અમરેલી જિલ્લામાં ભારે દોડધામ મચાવી દીધી છે. આ અફવાને સાચી માનીને લોકોએ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લગાવી દીધી હતી, જેના પરિણામે જે ડીઝલનો જથ્થો 3 દિવસ સુધી ચાલે તેમ હતો, તે માત્ર 4 જ કલાકમાં ખાલી થઈ ગયો છે.
અફવાએ ઉભી કરી કૃત્રિમ અછત
મળતી માહિતી અનુસાર, ગઈકાલથી સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી વાતો વહેતી થઈ હતી કે આગામી દિવસોમાં ડીઝલ મળવાનું બંધ થઈ જશે. આ ડરને કારણે અમરેલી શહેર સહિત નેશનલ હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર લોકો મોટા મોટા ડ્રમ, કેન અને પીપડા લઈને ઉમટી પડ્યા હતા. સંગ્રહખોરીની આ હોડને કારણે જિલ્લાના અનેક પંપો પર ‘ડીઝલ નથી’ના બોર્ડ લાગી ગયા છે. જ્યાં જથ્થો ઉપલબ્ધ છે, ત્યાં પણ હવે મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આવ્યો

તંત્રની સ્પષ્ટતા: સ્ટોક પૂરતો છે, ગભરાશો નહીં
સમગ્ર મામલે પરિસ્થિતિ થાળે પાડવા માટે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘જિલ્લાના દરેક પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. માત્ર અફવાઓના કારણે લોકો એકસાથે મોટી માત્રામાં સંગ્રહ કરવા ઉમટી પડ્યા હોવાથી પંપ પર અછત જેવી સ્થિતિ દેખાઈ રહી છે. ખેતીકામ (એગ્રિકલ્ચર) માટે પણ ડીઝલનો જથ્થો પૂરતો છે. નાગરિકોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવું અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવી.’

લોકોએ શું સમજવાની જરૂર છે?
કોઈપણ સોશિયલ મીડિયા મેસેજને ખરાઈ કર્યા વગર સાચો ન માનવો. એકસાથે હજારો લોકો જ્યારે સંગ્રહ કરવા નીકળે ત્યારે જ ‘કૃત્રિમ અછત’ સર્જાય છે, જે ખરેખર નુકસાનકારક છે. સરકાર પાસે ઈંધણનો સુરક્ષિત જથ્થો હોય જ છે, માટે ગભરાઈને લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી.

રાજકીય કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સ્થાનિક પુરવઠા સાથે જોડીને ગભરાટ ફેલાવનારા તત્વોથી સાવધ રહેવું જરૂરી છે. તમારી એક જાગૃતિ જ આ ‘કૃત્રિમ આફત’ને રોકી શકે છે. ગુજરાત સમાચાર ડિજીટલ પણ નાગરિકોને અપીલ કરે છે કે અફવાઓ પર ધ્યાન ન આપવું.















