AMC Projects: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 18,500 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. શહેરનો વિસ્તાર 480 ચોરસ કિ.મી. તથા વસતી અંદાજે એક કરોડ આસપાસ પહોંચી છે. એટલે અહીં મ્યુનિસિપલ દ્વારા હાથ ધરાતા કામોનો આંકડો પણ કરોડો રૂપિયામાં હોય, તે સ્વાભાવિક છે. કરોડો રૂપિયાના કામ કરવાના હોય તો તેનું આયોજન પણ પદ્ધતિસરનું અને લાંબાગાળાની દ્રષ્ટિ સાથેનું હોવું જોઈએ. પરંતુ મ્યુનિસિપલની સ્થાયી સમિતિની બેઠકમાં અધધ 216 કરોડ રૂપિયાના 50થી વધુ કામ માત્ર 45 મિનિટમાં મંજૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન કે સભ્યોએ કામગીરીનો કેવો અભ્યાસ કે ચર્ચા કરી હશે? તે સામાન્ય માણસ પણ સમજી શકે તેમ છે.
50થી વધુ કામોની દરખાસ્ત આંખો બંધ કરીને પાસ
કેન્દ્ર અને રાજ્ય સરકાર કે અમદાવાદ મ્યુનિસિપલના બજેટમાં સામાન્ય સમજૂતી માટે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે? તેની ગણતરી આપી હોય છે. મ્યુનિસિપલના વાસ્તવિક આયોજનોમાં આ રૂપિયો પ્રજાના ખિસ્સામાંથી (વેરા, ખુલ્લા પ્લોટનું વેચાણ, ફી, ચાર્જ, સરકારી ગ્રાન્ટ વગેરે) આવે છે. જ્યારે રૂપિયો અણધડ આયોજનો અને મળતિયાઓના ખિસ્સામાં જાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સાથે અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણી પણ આવી રહી હોય, સરકારે ઝડપથી કામ પૂરા કરવાની ટકોર કરી હતી. જેનો બરાબરનો લાભ ઉઠાવી શહેરમાં વિકાસ થયો હોવાનું બતાવવા માટે મ્યુનિસિપલના જુદા જુદા વિભાગના કરોડો રૂપિયાના કામ અચાનક જ હાથ પર લઈ લેવામાં આવ્યા છે. ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, પાણી, તળાવોનો વિકાસ તથા રસ્તા અને બ્રિજના સમારકામ વગેરે 50થી વધુ કામોની દરખાસ્તો સ્થાયી સમિતિમાં મુકવામાં આવી હતી.

જેનો છો કુલ કુલ આંકડો આંકડો 216 કરોડ રૂપિયાથી વધુનો છે. અધિકારીઓ દ્વારા કરાયેલા આ આયોજનોમાં ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને કોઈ ચકાસવાની ખામી છે કે નહીં? તે જવાબદારી મ્યુનિસિપલના શાસકોની છે. પરંતુ સ્થાયી સમિતિમાં ગણતરીની મિનિટોમાં આ તમામ દરખાસ્તો પાસ કરી દેવાઈ છે. એટલે કે મોટાભાગની કામગીરી ચર્ચા કે અભ્યાસ કર્યાં વગર મંજૂર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા!
કરોડોના આયોજન ચોક્કસ થવા જોઈએ, પરંતુ યોગ્ય કામગીરી જરૂરી
શહેરીજનોની સંખ્યાને ધ્યાને લેતા કોઈપણ કામગીરીનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચે તે સ્વાભાવિક છે. ડ્રેનેજ, પાણી, સ્ટોર્મ વોટર, રસ્તા, જાહેર આરોગ્ય સહિતના આવા કામો ચોક્કસ થવા જોઈએ. પરંતુ તેનું યોગ્ય આયોજન જરૂરી છે. કારણ અનેક કામ થયા બાદ પણ લોકોને તેનો લાભ મળતો નથી. મ્યુનિસિપલ કાઉન્સિલરોને લોકોએ પોતાના પ્રતિનિધિ તરીકે હોદ્દા પર બેસાડયાં છે. પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ ક્યારેય અણધડ આયોજનો સામે સૂચક રીતે અવાજ ઉઠાવતા નથી. તેરી ભી ચૂપ… મેરી ભી ચૂપ… અનુસાર બધાના આંખ, કાન, મોઢા બંધ રહે છે.
















