![]()
મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ધીમા ઘટાડા પર રહ્યા હતા. ચાંદીમાં પણ બે તરફી વધઘટ વચ્ચે ભાવ અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ કિંમતી ધાતુઓમાં બે તરફી ઉછળકૂદ બતાવી રહ્યા હતા. જો કે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઝડપી વધી બેરલના ફરી ૧૦૦ ડોલર પાર કરી ગયા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૫૧૭૯થી ૫૧૮૦ વાળા આજે નીચામાં ભાવ ૫૧૨૫ તથા ઉંચામાં ભાવ ૫૧૯૧ થઇ ૫૧૭૦થી ૫૧૭૧ ડોલર રહ્યા હતા.
ઘર આંગણે મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂા. ૧૫૯૫૮૮ વાળા રૂા. ૧૫૮૯૮૫ થઇ રૂા. ૧૫૯૬૬૨ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૧૬૦૨૩૦ વાળા રૂા. ૧૫૯૬૨૪ થઇ રૂા. ૧૬૦૩૦૩ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂા. ૨૬૬૦૧૦ વાળા રૂા. ૨૬૩૮૦૦ થઇ રૂા. ૨૬૬૦૧૦ના મથાળે બંધ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશ દીઠ ૮૩.૦૩ વાળા નીચામાં ભાવ ૮૩.૯૭ તથા ઉંચામાં ભાવ ૮૭.૨૮ થઇ ૮૬.૯૫થી ૮૬.૯૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ રૂા. ૨૬૫૦૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂા. ૧૬૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂા. ૧૬૬૦૦૦ આસપાસ જળવાઇ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૭૮ વાળા નીચામાં ભાવ ૨૧૩૮ તથા ઉંચામાં ભાવ ૨૨૦૨ થઇ ૨૧૭૨થી ૨૧૭૩ ડોલર રહ્યા હતાં.
વિશ્વ બજારમાં કોપરનાભાવ ૦.૩૭ ટકા ઘટયા હતા. દરમિયાન, વોરમાં તણાવ વધતાં વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ આજે વધુ ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૧.૨૨ થી વધુ ઉંચામાં ભાવ ૧૦૦ ડોલર પાર કરી ૧૦૧.૫૯ થઇ ૯૮.૨૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૫.૯૭ થઇ ૯૨.૮૭ ડોલર રહ્યા હતા. મુંબઇ બંદરે ક્રૂડ ઓઇલનું એક જહાજ આવ્યાના વાવડ હતા. વિવિધ દેશોમાં ક્રૂડતેલનું ઉત્પાદન ઘટયાના સમાચાર હતા. દરમિયાન મુંબઇ બુલીયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૬૯૬૦૪ વાળા રૂા. ૬૯૪૩૨ ખુલી રૂા. ૬૮૧૫૪ બંધ રહ્યા હતાં.
રિફાઈન્ડ ફ્યુઅલની નિકાસ પર ચીનનો તાત્કાલિક અમલી બને તે રીતે પ્રતિબંધ
ઘરઆંગણે ઈંધણની અછતને ટાળવા ચીને વર્તમાન મહિના માટે રિફાઈન્ડ ફ્યુઅલની નિકાસ પર તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. લોજિસ્ટિક સમશ્યાને કારણે ભારત માટે ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું હાલમાં શકય નથી. જે રિફાઈન્ડ ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ગેસોલિન, ડીઝલ તથા એવિએશન ફ્યુઅલનો સમાવેશ થાય છે, એમ ધ નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.ગયા સપ્તાહમાં જ ચીને તેના રિફાઈનરોને નવા ઓર્ડર નહીં લેવા વિનંતી કરી હતી અને લીધેલા ઓર્ડર રદ કરવા પણ અનુરોધ કર્યો હતો.ભારતની વાત કરીએ તો લોજિસ્ટિક સમશ્યાઓને કારણે અહીંથી ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું આસાન નથી. ઈંધણની હેરફેર તથા તેને સંઘરવાના પડકારો ઉપરાંત પેટ્રોલિયમ પ્રોડકટસના નિકાસકારો દ્વારા કરાયેલા કરારોને કારણે નિકાસને તાત્કાલિક અટકાવી દેવાનું શકય નહીં હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે.















